Video: રાજુલા તાલુકામાં તલાટી-શિક્ષકોની અછતને લઈ 35 ગામના સરપંચોની રજૂઆત
અમરેલીના રાજુલા તાલુકાના ગામડાંઓમાં ગ્રામસેવક, તલાટી મંત્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકોની અછત હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે રાજુલા તાલુકાના 72 ગામના સરપંચોના સમર્થન સાથે આજે બુધવારે 35 ગામના સરપંચો એકઠા થઈને રાજુલા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગ્રામજનોના કામો અટકી પડતાં મુશ્કેલી
રાજુલા તાલુકાના સરપંચોનું કહેવું છે કે, ગ્રામ સેવક અને તલાટી મંત્રી અછત હોવાથી ગ્રામજનોના કામો અટકી પડતાં મુશ્કેલીમાં મૂકાયા છીએ. આ મામલે સરકાર દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરી છે.
શાળાઓમાં શિક્ષકોની ઘટ
જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, 'રાજુલા તાલુકામાં 72 ગામો આવેલા છે. તાલુકામાં હાલ કુલ 7 ગ્રામસેવક છે. આમ 1 ગ્રામસેવકના ભાગે 12 ગામ આવે છે. જેમાં ગ્રામસેવકોની અછત હોવાથી ગ્રામજનો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી શકતી નથી. બીજી તરફ, ગામની શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. આમ અમારી વિવિધ માંગણીને લઈને સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવી તે માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.'

