Gir news: દોઢ મહિના દરમિયાન 8થી વધુ સિંહ બાળના શંકાસ્પદ રોગાચાળાથી મોત, 4ને એનિમલકેર સેન્ટરમાં રખાયા

ગુજરાતની આન-બાન અને શાન ગણાતા સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ મંડરાઇ રહ્યું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર સિમ વિસ્તારમાં 2 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા 11 સિંહોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 9 સિંહબાળ અને 1 સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા છે.
દોઢ મહિના દરમિયાન 8થી વધુ સિંહ બાળના મોત
મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા દોઢ માસ દરમિયાન 8થી વધુ સિંહબાળના મોત નિપજ્યા છે. તો બીજી તરફ રાજુલા જાફરાબાદ બન્ને રેન્જની બોર્ડરમાંથી 25 દિવસ પહેલા સિંહબાળ પાઠડાનું રેસ્ક્યુ કરી લઈ જવાયા હતા. જાફરાબાદ રેન્જના 4 જેટલા સિંહબાળ પાઠડા કોવાયા નજીકથી વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી બાબરકોટ એનિમલકેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જે સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમની હાલત અત્યંત નાજુક છે. 2 સિંહબાળના શંકાસ્પદ મોત અને અન્યની નાજુક હાલત જોતા વનવિભાગમાં ચિંતા વ્યાપી છે અને સિંહબાળમાં કોઈ ભેદી રોગચાળો ફાટી નીકળ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વર્ષ 2018માં 22 સિંહોના થયા હતા મોત
અમરેલી જિલ્લામાં વર્ષ-2018માં ગીર પૂર્વની દખલાણીયા રેન્જમાં 50 સિંહોના એક જૂથ પર કેનાઈ ડીસ્ટેમ્પર વાઈરસે એટેક કર્યો હતો. જેમાં 22 જેટલા સિંહોના મોત થયા હતા. જ્યારે 31 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ક્વોરન્ટાઈન રાખીને દિલ્હી તેમજ ઉત્તર પ્રદેશના વિશેષ વેટરનરી ડોક્ટરોની મદદથી સારવાર કરવામાં આવી હતી. પરંતુ વાઈરસ કાબૂમાં ન આવતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે અમેરિકાના પશુ નિષ્ણાંત વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી. વેક્સિન અને સારવાર બાદ 31 સિંહો રોગ મુક્ત થયા હતા.

