અમરેલીમાં વાડીએ કામ કરતા ખેડૂત પર સિંહનો હુમલો, પીડિત સારવાર અર્થે હોસ્પિટલમાં

ગુજરાતમાંથી અવારનવાર જંગલી જાનવર દ્વારા શિકાર માટે માણસો પર હુમલો કરવાની ઘટના સાંભળતા હોઈએ છીએ એવામાં અમરેલીમાંથી આવો જ એક ભયાવહ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેતરે કામ કરતા એક ખેડૂત પર સિંહે હુમલો કર્યો હતો. ખેતીકામ કરતા એક આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમરેલી બોગસ લેટરકાંડ: અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક પાટીદાર યુવતીને આપશે કાયમી નોકરી
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દલખાણીયા ગામના ખેડૂત પોતાની વાડીએ પાણી પાઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો હતો. જેમતેમ કરી પોતાના બચાવનો પ્રયાસ કરતા ખેડૂત આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત બટુકભાઈને સિંહે પગના ભાગે ઈજા પહોંચાડતા તેમને 108 મારફતે ધારી સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હુમલાના બનાવની ઘટના બનતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પિંજરા મૂકીને સિંહને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તને વધુ ઇજાની જાણ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથમાં સિંહ અને દીપડાએ કર્યો માનવ પર હુમલો
ઉના તાલુકામાં એક જ દીવસમાં બે અલગ અલગ ગામમાં સિંહ અને દીપડાના માનવ પર હુમલાની ઘટના સામે આવી છે. ઉનાના એલપુર ગામે 53 વર્ષીય મહિલા ખેતર જતા હતા ત્યારે સિંહે હુમલો કરતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ગરાળ ગામે ઘરમાં આરામ કરી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સમગ્ર મામલે વન વિભાગ દ્વારા સિંહ અને દીપડા ને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી.

