ખ્યાતિકાંડમાં ગ્રામ્ય કોર્ટે ડૉ. પ્રકાશ વઝીરાણી અને CEO રાહુલ જૈનની જામીન અરજી ફગાવી

અમદાવાદ શહેરના SG હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલ થોડા દિવસ પહેલા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની હતી. જ્યાં ભોળા લોકોને અંધારામાં રાખીને સરકારી યોજનાનો લાભ લઈ પૈસા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું હતું. કડી તાલુકાના બોરીસણા ગામના બે વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયા બાદ આ સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું.
આ સમગ્ર કારસ્તાનના મુખ્ય સૂત્રધાર એટલે કે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, CEO રાહુલ જૈન સહિત પાંચેય આરોપીઓને ગતરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ થઈ ચૂકી હતી. જેમાં અમદાવાદ જીલ્લા ગ્રામ્ય કોર્ટ દ્વારા આરોપીઓની નિયમિત જામીન અરજી ફગાવી નાખી હતી.
ડૉ.પ્રશાંત વઝીરાણી અને CEO રાહુલ જૈન દ્વારા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી. કેસના વિશેષ સરકારી વકીલ વિજય બારોટની રજુઆતોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવવામાં આવી હતી. ગ્રામ્ય સેસન્સ કોર્ટના જજ કે એન સોજીત્રાએ અરજી ફગાવી નાખી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ પણ આરોપીઓને જામીન આપવા કોર્ટ દ્વારા ઇનકાર કરવામાં આવ્યો.

