VIDEO/ અમદાવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રખડતા શ્વાનનું ખસીકરણ અને વેક્સીનેશન
અમદાવાદમાં રખડતા શ્વાન અને પશુઓના ત્રાસને લઈને સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો CNCD વિભાગ એક્શનમાં આવ્યો છે. કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા માસ ડોગ સ્ટરેલાઇઝેશન એટલે કે ખસીકરણ અને વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા CNCD વિભાગના અધ્યક્ષ નરેશ રાજપૂતે જણાવ્યું છે કે શહેરમાં શ્વાનની ગણતરી પણ શરૂ કરી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટની સૂચના બાદ અમદાવાદમાં પાલતુ શ્વાન રાખતા નાગરિકો માટે પણ નિયમો કડક કરાયા છે. હવે પેટ ડોગનું રજીસ્ટ્રેશન અને તેમાં ચીપ લગાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત હાઈવે પર ટ્રાફિકને નડતરરૂપ બનતા રખડતા પશુઓને પણ પકડીને પાંજરે પૂરવાની કામગીરી સઘન બનાવાઈ છે. જનતામાં શ્વાન કરડવાના અને હડકવાના ડર વચ્ચે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે હડકવા ચેક કરવાની ખાસ કીટ છે પરંતુ હાલ અમદાવાદમાં હજુસુધી એકપણ હડકવાગ્રસ્ત શ્વાન મળ્યો નથી

