Video/ ધોળકાના રામપુરમાં ઠાકોર સમાજની કોંગ્રેસ જન આક્રોશ સભા, 700 જેટલા લોકોએ જાહેર કર્યો ટેકો
ધોળકા તાલુકાના રામપુર ગામે ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસની જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિકોતર મા મંદિરની દિવાલ તોડવામાં આવ્યાના મુદ્દે સમાજમાં રોષ ભભૂકી ઉઠતા આ સભા યોજાઈ હતી.
માહિતી અનુસાર, રામપુર ગામે આવેલ ઠાકોર સમાજના સિકોતર મા મંદિર ખાતે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન તંત્ર અને ભાજપના કાર્યકરો દ્વારા દિવાલ તોડી પાડવામાં આવતા સમાજમાં ભારે અસંતોષ ફેલાયો હતો. આ ઘટનાને પગલે ઠાકોર સમાજ દ્વારા કોંગ્રેસ જન આક્રોશ સભા યોજવામાં આવી.
700 જેટલા લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો
સભા દરમિયાન રામપુર ગામના અંદાજે 700 જેટલા ઠાકોર સમાજના લોકોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓની હાજરીમાં સમાજના લોકોએ કોંગ્રેસનો ખેસ પહેરી પક્ષમાં જોડાવાની જાહેરાત કરી અને “હવે અમે બધા કોંગ્રેસ સાથે છીએ” તેવી ખુલ્લી જાહેરાત કરી હતી.
દિગ્ગજ નેતાઓ હાજર
આ સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. નેતાઓએ પોતાના સંબોધનમાં ઠાકોર સમાજને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, “અમે તમારી સાથે જ છીએ. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસ મદદ માટે તૈયાર રહેશે.” સાથે જ તંત્રને સંદેશ આપતા જણાવ્યું હતું કે સરકારનો હાથો બની નાના માણસોને હેરાન ન કરવામાં આવે.
પોલીસ તંત્રને પણ સંબોધતા નેતાઓએ કહ્યું હતું કે પોલીસનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, સરકારના ઇશારે સામાન્ય લોકોને હેરાન ન કરવા જોઈએ.

