VIDEO : અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, નીકળી ભવ્ય જળયાત્રા
અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી જમાલપુર જગન્નાથ મંદિરેથી જળયાત્રા નીકળી છે. સૌપ્રથમ 12 હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યાં. બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા પણ મંદિર પ્રાંગણની બહાર નીકળી ગયા છે. બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો…જય જગન્નાથના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના કિનારે જઈ રહી છે. આ ભવ્ય જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરશે. ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે.સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચશે, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.

