બાવળાની ખાનગી કેમિકલ કંપનીમાં ટાંકાની સફાઈ માટે ઉતરેલા બે કામદારોના મોત, પોલીસ તપાસ શરુ

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લામાં બાવળાની એક ખાનગી કંપનીમાં બે કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. બાવળાના ઢેઢાળ ગામે આવેલ શ્રી કેમિકલ નામની કંપનીમાં બે કામદારોના કરૂણ મોત નિપજ્યાં છે. કેમિકલ કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરવા માટે ઉતર્યા હતા કામદારો એવામાં બંનેનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકામાં ઢેઢાળ ગામે આ ઘટના બની હતી. જેમાં શ્રી કેમિકલ નામની કંપનીમાં કેમિકલનો ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે. કેમિકલના ટાંકામાં બે કામદારો ટાંકો સાફ કરવા ઉતરતા ઝેરી અસરથી બંનેના મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં બાવળા 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને 108 દ્વારા બંને કામદારોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે સારવાર મળે તે પહેલાં જ કામદારોના મોત નિપજ્યાં હતા. મામલાની જાણ થતાં જ બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

