અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં DYSP તરીકે નોકરી, 25થી વધુ પરીક્ષા પાસ કરી હોવાનો યુવતીનો દાવો; જાણો શું છે સત્ય

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. આણંદ જીલ્લાના સોજીત્રામાં નિશા વ્હોરા નામની એક યુવતીએ 24 વર્ષની ઉંમરે GPSC પરીક્ષા પાસ કરી હોવાની તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં DYSP તરીકે ફરજ બજાવતી હોવાનો દાવો કર્યો છે. આ યુવતીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સન્માન કરી ચુક્યા છે. જોકે, હવે આ ઘટનાને લઇને યુવા નેતા યુવરાજ સિંહે મોટો ખુલાસો કર્યો છે.
યુવરાજસિંહનો મોટો ખુલાસો
આણંદના સોજીત્રાની નિશા વોહરાએ 24 વર્ષની નાની ઉંમરમાં GPSC પરીક્ષા પાસ કરી DYSPનું પદ મેળવ્યું હોવાના અને તેના સન્માનના કેટલાક કટિંગ વાયરલ થયા છે. જોકે, આ મામલે યુવા નેતા યુવરાજસિંહે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહના દાવા અનુસાર, GPSCના છેલ્લા 5 વર્ષના તમામ રિઝલ્ટ તપાસવામાં આવ્યા હતા. જેમાં એકપણ રિઝલ્ટમાં આ યુવતીનું નામ નહોતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઇને સોજીત્રા સુધી વ્યક્તિગત તપાસ કરવામાં આવી તો પણ તે કોઇ પણ જગ્યાએ નોકરી ના કરતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ભૂતકાળમાં પણ અન્ય GPSCની કોઇપણ પરીક્ષા પાસ કરેલ હોય તેવા રેકોર્ડ પણ મળ્યા નથી. આ યુવતીએ કોઇ પણ પ્રકારની પરીક્ષા પાસ કરી નથી.
શું છે ઘટના?
સોશિયલ મીડિયા સાઇટ પર આણંદ જીલ્લાના સોજીત્રાની નિશાબેન વ્હોરાએ 24 વર્ષની નાની ઉમરે GPSC પાસ કરી હોવાનો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં DYSP તરીકે ફરજ બજાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ નાની ઉંમરે GPSCની પરીક્ષા પાસ કરી હોવાથી વિવિધ સંગઠનો દ્વારા યુવતીનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આણંદના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. જોકે, આ અંગે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહે આ યુવતીએ કોઇ પણ GPSCની પરીક્ષા પાસ કરી ના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નિશા વ્હોરા UPSCની તૈયારી કરતી હોવાનો દાવો
એક અહેવાલમાં નિશા વ્હોરા GPSC કલાસ 3 માં પાસ થવાના સમાચાર હતા. જેમાં નિશા પોતે IPS બની દેશ સેવા કરવા UPSCની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે. દાવો કરાયો છે કે સોજીત્રાની નિશાબેન સલીમભાઈ વ્હોરાએ જામિયા હાઈસ્કુલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું, જ્યાર બાદ GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. અને કોઈ પણ કલાસીસ કર્યા વિના તેણે આપબળે સફળતા મેળવી હતી. આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે. અને GPSCની વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો હતો.
નિશા લોકોને સફળતાનો મંત્ર આપતી
નિશા વ્હોરાએ જે તે સમયે કહ્યું હતું કે 'સફળતા માટે મહેનત અને સમર્પણ બન્ને જોઈએ. તે કોઈ જ ક્લાસિસ જોઈન કર્યા વિના આપબળે UPSCની પરીક્ષાની તૈયારીઓ માટે પ્રશ્નપત્રો સોલ્વ કરી રહી છે. અને 12 -12 કલાકની સખત મહેનત કરી રહી છે. વધુમાં પોતાને માર્ગદર્શન આપનાર અન્ય આઈ.એ.એસ. અધિકારીઓના સંપર્કમાં હોવાનો પણ દાવો કર્યો હતો.
શું કહ્યું આણંદ DSPએ?
નિશા વ્હોરા બોગસ અધિકારી હોવાનો સોશિયલ મીડિયા પર દાવો કરતા તે અંગે ખરાઈ કરવાનો પણ પ્રયાસ કર્યો. જે માટે નિશાના વતન એવા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી.જસાણી જણાવ્યું કે 'આ બાબતે જાણકારી મુજબ તથ્યો તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે'.

