VIDEO: "સોલર પાર્કથી શરૂ થયેલી સફર હવે જનઆંદોલન..." રિન્યુએબલ એનર્જી સમિટમાં મંત્રી ઋષિકેશ પટેલનો મોટો હુંકાર!
અમદાવાદ ખાતે યોજાયેલા ‘ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો ૨૦૨૬’ (Bharat Renewable Energy Summit & Expo 2026) દરમિયાન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાત અને દેશની સિદ્ધિઓ અંગે મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હરિત ઊર્જા ક્ષેત્રે આજે ભારત જે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે તેનો પાયો વર્ષો પહેલાં ગુજરાતની ધરતી પર નંખાયો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતાં કહ્યું કે, "રિન્યુએબલ એનર્જી તરફની ભારતની આ ઐતિહાસિક સફર વર્ષો પહેલાં શરૂ થઈ હતી, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા. તેમણે એશિયાના પ્રથમ અને અનોખા સોલર પાર્કની સ્થાપના કરીને આ ક્રાંતિના મંડાણ કર્યા હતા. ગુજરાતમાં પીએમ મોદીએ એક એવો રોડમેપ તૈયાર કર્યો હતો જે માત્ર સમસ્યાઓ ગણાવવાને બદલે સચોટ ઉકેલો શોધવા પર કેન્દ્રિત હતો."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "તેમણે ખેડૂતો અને સામાન્ય ઘરોને આ પહેલ સાથે જોડીને તેને એક મોટું 'જનઆંદોલન' બનાવી દીધું, જે આજે સમગ્ર દેશમાં વ્યાપી ચૂક્યું છે. ભારત હવે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના નોન-ફોસિલ ફ્યુઅલ (બિન-અશ્મિભૂત સ્ત્રોતો)માંથી ઊર્જા પેદા કરવા સજ્જ બન્યું છે, અને ગર્વની વાત એ છે કે ગુજરાત આજે રિન્યુએબલ એનર્જીના દરેક સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે."
આ સમિટમાં ગ્રીન એનર્જી, સોલર પાવર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે ભવિષ્યના રોકાણો તેમજ ગુજરાતની ભૂમિકા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીના જણાવ્યા મુજબ પર્યાવરણના સંરક્ષણ સાથે દેશની વીજ જરૂરિયાતો પૂરી કરવામાં ગુજરાત સતત અગ્રેસર રહેશે.

