Ahmedabad news: અડાલજથી પકડાયેલા આતંકીઓની દિલ્હી બ્લાસ્ટમાં સંડોવણીની શક્યતા, ગુજરાત ATS દિલ્હી જશે

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ 10 લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલો કોઈ મોટા આતંકી સંગઠન દ્વારા કરાયો હોવાની તપાસ એજન્સીઓને પ્રબળ શક્યતા છે, ત્યારે બે દિવસ અગાઉ ગુજરાત ATS એ અડાલજમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. હવે તપાસ એજન્સી દિલ્હી બ્લાસ્ટના તાર આ પકડાયેલા આતંકી સાથે જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરી ATS ની ટીમ વધુ તપાસ માટે દિલ્હી જશે.
ગુજરાત ATS ની એક ટીમ દિલ્હી જશે
ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓએ સંયુક્ત અભિયાનમાં આ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓમાં ચીનથી MBBS કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ પણ સામેલ છે, જે ISKPથી જોડાયેલા વિદેશમાં બેઠેલા કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા. અહમદની સાથે તેના બે સાથીઓ મોહમ્મદ સુહેલ અને આઝાદ સૈફી પણ પકડાયા છે. ATSના અનુસાર, આ ત્રણેય અમદાવાદ, લખનઉં અને દિલ્હીમાં આતંકવાદી હુમલાની તૈયારીઓ કરી રહ્યા હતા અને તેમને લાંબા સમયથી દેખરેખમાં રખાયા હતા. આ સાથે તેઓની દિલ્હી બ્લાસ્ટમાં સંડોવણી છે કે કેમ તે જાણવા ગુજરાત ATS ની એક ટીમ દિલ્હી રવાના થશે.
દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવતા તપાસ તેજ
ત્રણ પૈકી હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરી રાઇઝન બનાવી રહ્યો હતો. દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું છે. સાયનાઇડથી ખતરનાક રાયઝિન લિક્વિડ બનાવવાની તૈયારીમાં ડૉ. સૈયદ અહેમદનો ઈરાદો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક છે, તે સાયનાઇડથી ખતરનાક ઝેર રાયઝિન બનાવી રહ્યો હતો. અધિકારીઓના અનુસાર, આ પદાર્થ સાયનાઇડથી વધુ ઘાતક છે. તેની થોડી માત્રા પણ મોટા પ્રમાણમાં જાનહાનિ કરી શકે છે.

