Ahmedabad news: જમાઈએ સસરાની છાતી પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંક્યા, સારવાર દરમિયાન તોડ્યો દમ

અમદાવાદના શહેરના નારોલ વિસ્તારમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીને લેવા સાસરીમાં ગયેલા જમાઈએ જ પોતાના સસરાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
છરી વડે જમાઈએ સસરાને છાતીમાં ઉપરા છાપરી ઘા ઝીંક્યા
નારોલના બાગે કૌશર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય અઝીજખાનની તેમના જ જમાઈ ઈબ્રાહીમ નાસીર મન્સુરીએ છરીના ઘા મારી હત્યા કરી છે. મળતી માહિતી મુજબ, આરોપીની પત્ની થોડા દિવસોથી પિયરમાં રહી રહી હતી. શનિવારે રાત્રે ઈબ્રાહીમ પત્નીને લેવા સાસરીમાં આવ્યો હતો. જ્યાં જમાઈ અને સસરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં આરોપી ત્યાંથી નીકળી ગયો હતો, પરંતુ અડધા કલાક બાદ પોતાની માતા નફીસા અને પિતા મુસ્તુફા સાથે પરત ફર્યો. ઘરની બહાર ઊભા રહી ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ ધક્કામુક્કીમાં સસરા જમીન પર પડી ગયા અને આરોપીએ છરીથી છાતીમાં ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા.
નારોલ પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ
બનાવ બાદ બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થયા હતા. આરોપી અને તેના માતાપિતા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત અઝીજખાનને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે નારોલ પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલ વિસ્તારમાં સતત વધતા ગુનાખોરીના બનાવોને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

