Ahmedabad news: બેઠક નિષ્ફળ જતાં રેશન સંચાલકો આકરા પાણીએ, PM મોદીના ભાઈએ કહ્યું- આ સરકારની તાનાશાહી

અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે સરકારના પ્રતિનિધિએ ગુજરાત ફેર પ્રાઈસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સહિત અનાજની દુકાનના વિતરકો સાથે તેમની માંગ મુદ્દે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઈ હતી. જો કે આજે પણ આ સમસ્યા અંગે કોઈ નિરાકરણ ન આવતા આંદોલન યથાવત રહેશે.
રેશન સંચાલકો અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરીમાં રજૂઆત કરી રાજ્યના 17 હજારથી વધુ રેશન સંચાલકોની વિવિધ પડતર માગણીઓ અને કમિશન વધારવા સહિતની સમસ્યાઓ દૂર કરવાની માંગણીને લઈ આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આજે ફરી અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે સરકારના પ્રતિનિધિએ ગુજરાત ફેર પ્રાઈસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સહિત અનાજની દુકાનના વિતરકો સાથે તેમની માંગ મુદ્દે ચર્ચા વિચારણા કરવા બેઠક યોજાઈ હતી.
પુરવઠાન સચિવ-પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ
અન્ન અને નાગરિક પુરવઠાના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઈઝેશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થતા આ બેઠક નિષ્ફળ રહી હતી. સચિવ બેઠક છોડી વચ્ચેથી રવાના થતા પ્રહલાદ મોદીએ પણ બેઠક છોડી દીધી હતી. આ અંગે પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે સરકાર તાનાશાહી ચલાવે છે. અમારું આંદોલન સતત ચાલુ રહેશે. કોઈ પણ દુકાન ખોલવામાં નહીં આવે અને અમે તમામ લોકો રાજીનામાં આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ.

