Video: પાલિતાણાના દેરાસરમાં ફોટોગ્રાફીનો વિવાદ, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ કરી આ સ્પષ્ટતા
જૈન નગરી પાલીતાણામાં આદિશ્વર દાદા દેરાસરના ગર્ભગૃહમાં દાદાના ઢીંચણ પર ચઢી કોઈ વિધર્મીએ ફોટોગ્રાફી કરી હોવાની વાતને લઈ જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૈન સંઘોના શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામે વિરોધ ભભૂક્યો છે. પાલીતાણા ઉપરાંત અમદાવાદમાં પાલડી વિસ્તારમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામે જૈન સમાજે ભારે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે સત્તાધીશોએ સ્વીકાર્યું કે વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે મુસ્લિમ સમાજની એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો સાથે એમ પણ કહ્યું કે આદિશ્વર દાદાના ઢીંચણ પર ચઢી ફોટોગ્રાફી કરી હોય તેવા મેસેજ જેણે પણ કર્યા હોય અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોય તેવા લોકો સામે પોલીસ ફરિયાદ કરાશે.
જૈન સમાજમાં ભારે વિરોધ બાદ આણંદજી કલ્યાણજી પેઢીના સંચાલકોએ મામલો શાંત પાડવા પ્રયાસો કર્યા અને સ્પષ્ટતા કરી કે ભગવાન આદિનાથ દેરાસરમાં જે વ્યક્તિ ફોટોગ્રાફી માટે ગયો હતો તે બ્રાહ્મણ હતો. પુષ્પેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ સ્નાન કરી પૂજાના વસ્ત્રોમાં મુખકોષ બાંધીને ગભારામાં ગયો હતો અને પેઢીને આધિન ફોટોગ્રાફી કરી હતી.
જૈન સંઘોના શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સામે વિરોધ મામલે ટ્રસ્ટીઓએ ખુલાસા કર્યા હતા. ટ્રસ્ટી શ્રીપાલ રસિકલાલ શાહે કહ્યું કે શેત્રુંજયમાં ડોક્યુમેન્ટરી માટે એજીએમમાં ઠરાવ કરીને નક્કી કરાયું હતું અને બોર્ડમાં ચર્ચા કરી લખનૌના ફોટોગ્રાફર સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. શેત્રુંજયની ફોટોગ્રાફી કરી હતી જેમાં શાવકોનું દિલ દુભાયું હતું અને તે વખતે ચર્ચા થતા શાવકોના આગ્રહથી તે લોકોને ફોટોગ્રાફી બંધ કરાવવામાં આવી હતી. વિડીયો ચેક કરતા દાદાના ગર્ભગૃહમાં જે પ્રકારે લાઇટિંગ થઈ હતી તેઓને પણ દુઃખ થતા સ્પષ્ટીકરણ કર્યું હતું અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ડીલીટ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં પેઢીએ એક પણ રૂપિયો આપ્યો નથી, પરંતુ કોબામાં બની રહેલા મ્યુઝિયમ તરફથી ડોનેશનમાં મળવાનું હતું. આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે અને જે ફોટો અને વીડિયો લેવાયા છે તે ડીલીટ મારવામાં આવશે અને નવી કોઈ ફોટોગ્રાફી કરવામાં આવશે નહીં.

