VIDEO: આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપીને રાહત નહીં, રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે
આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મવીરસિંહને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ધરપકડ બાદ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. રવિવારે થયેલા ફાયરિંગ બાદ આરોપી છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.
પોલીસે કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલ સંદીપ ગૌતમ એ રિમાન્ડ ની માંગ સાથે જણાવ્યું હતું કે ગુનાની ગંભીરતા જોતા આરોપીની પોલીસ કસ્ટડી જરૂરી છે. દુષ્કર્મનું કાવતરું પહેલેથી રચાયું હતું કે કેમ, ગુનામાં કોઈએ આર્થિક મદદ કરી હતી કે કેમ તેમજ મોબાઈલના CDR અને SDRનું એનાલિસિસ કરવા માટે પૂછપરછ જરૂરી છે. આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવાની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન પોલીસે આરોપી વિરુદ્ધ BNSની કલમ 308(5) ઉમેરવાની અરજી કરી હતી. આરોપીએ ભોગ બનનારનો મોબાઈલ ઝૂંટવીને ભાગ્યાનું સામે આવતા કોર્ટે કલમ ઉમેરવાની અરજી મંજૂર કરી છે. જોકે, કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

