નફાના પુરાવા વિના ગેમ્બલિંગ કેસ નહીં: હાઇકોર્ટ

અમદાવાદના શાલિગ્રામ-2માં ગેમ્બલિંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પાંચ અરજદારો સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અને તેની અનુસંગી કાર્યવાહી હાઇકોર્ટે રદ કરી છે.
કેસની વિગત પ્રમાણે, શાલિગ્રામ-2ના એક મકાનમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પાંચ વ્યક્તિઓ પત્તા રમતા મળી આવ્યા હતા અને ટેબલ પરથી પત્તા તથા વિવિધ રંગના સિક્કા મળી આવ્યા હતા. જેના આધારે ગુજરાત ગેમ્બલિંગ એક્ટની કલમ 4 અને 5 હેઠળ FIR નોંધાઈ હતી.
અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે મકાનને “કોમન ગેમિંગ હાઉસ” સાબિત કરતો કોઈ પુરાવો નથી અને મકાનના ઉપયોગથી માલિકને નફો કે લાભ મળતો હોવાનો પણ કોઈ પુરાવો નથી.
હાઇકોર્ટે નોંધ્યું કે માત્ર પત્તા, સિક્કા અને રોકડ મળી આવવાથી મકાન “કોમન ગેમિંગ હાઉસ” બની જતું નથી. FIR અને ચાર્જશીટમાં મકાનનો ઉપયોગ નફા કે લાભ માટે થતો હોવાનો કોઈ પુરાવો નથી.
કોર્ટે વધુમાં નોંધ્યું કે પોલીસને બાતમી મળ્યાના માત્ર 23 મિનિટમાં સર્ચ વોરંટ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. આથી વોરંટ આપતા પહેલાં જરૂરી તપાસ થઈ હતી કે નહીં તે અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ પી.એમ. રાવલે પાંચ અરજદારો સામેની FIR અને તેની અનુસંગી કાર્યવાહી રદ કરી હતી.

