Ahmedabadના નરોડામાંથી ગુમ થયેલી બે સગીરાઓ હેમખેમ મળી આવી, પ્રેમ પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ

અમદાવાદના નરોડા વિસ્તારમાંથી તાજેતરમાં ગુમ થયેલી બે સગીરાઓના મામલામાં નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. પ્રેમ પ્રકરણના કારણે ઘરેથી ભાગી ગયેલી બંને સગીરાઓને પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવારને સોંપી દીધી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
24 એપ્રિલથી ગુમ હતી સગીરાઓ, પરિવારે કર્યો હતો વિરોધ
મળતી માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાંથી આ બંને સગીરાઓ ગત 24 એપ્રિલથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. સગીરાઓ ગુમ થવાની આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક સામાજિક આગેવાનો અને પરિવારજનોએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈને ઉગ્ર રજૂઆત કરી હતી અને ઝડપી કાર્યવાહી માટે વિરોધ પણ નોંધાવ્યો હતો.
પોલીસે 3 ટીમો બનાવી ઓપરેશન હાથ ધર્યું
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નરોડા પોલીસે તાત્કાલિક અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ સગીરાઓ અને આરોપીઓ સુધી પહોંચવા માટે સતત ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી હતી.
અલગ-અલગ વિસ્તારોમાંથી બે આરોપીઓ ઝડપાયા
તપાસ દરમિયાન પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ઓપરેશન પાર પાડી બંને સગીરાઓને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પરિવારને સોંપી હતી. આ કેસમાં સંડોવાયેલા બંને આરોપીઓની પણ અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.

