ગણેશ ચતુર્થી પર મેઘરાજા બન્યા 'વિઘ્નકર્તા'! અમદાવાદમાં મુશળધાર વરસાદથી મુહૂર્ત ચૂક્યા ભક્તો, મૂર્તિ બજારોમાં વેપારીઓના જીવ અધ્ધર!

અમદાવાદમાં ગણેશ ચતુર્થીના દિવસે જ મેઘમહેર થતાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. શહેરના વટવા ચાર માળીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા મૂર્તિ બજારમાં ખરીદી માટે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
વટવા ચાર માળીયા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે લોકો ઘરની બહાર ખરીદી માટે ઓછા નીકળતા હોવાથી મૂર્તિના વેચાણમાં પણ મંદી જોવા મળી રહી છે. પરિણામે મૂર્તિ વેચાણ કરતા વેપારીઓને આર્થિક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.
બીજી તરફ, ગણેશજીની સ્થાપના કરનાર ભક્તો માટે પણ વરસાદ મુશ્કેલીરૂપ બન્યો છે. સ્થાપનાના શુભ મુહૂર્ત દરમિયાન ભારે વરસાદને કારણે કેટલાક સ્થળોએ નિર્ધારિત સમયે બાપ્પાની સ્થાપના કરવી મુશ્કેલ બની હતી. હવે ભક્તો અન્ય શુભ મુહૂર્તમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાની તૈયારી કરી રહ્યા છે.
વટવા ઉપરાંત હાટકેશ્વર, બાપુનગર, CTM સહિત મણિનગર વિસ્તારમાં ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓમાં પણ વરસાદને કારણે વેચાણ પર અસર થવાની ચિંતા જોવા મળી રહી છે. વેપારીઓને મૂર્તિઓના વેચાણમાં ઘટાડો થતાં નુકસાનીનો અંદાજ સતાવી રહ્યો છે.
ગણેશ મહોત્સવના પ્રારંભના દિવસે જ પડેલા ભારે વરસાદે એક તરફ ભક્તોની ઉજવણીમાં વિઘ્ન ઊભું કર્યું છે, તો બીજી તરફ ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરતા નાના વેપારીઓ માટે પણ મુશ્કેલી ઊભી કરી છે.

