Ahmedabad : વિશાલા સર્કલ પાસે લાગેલી ભીષણ આગની ઘટના, મેયર સહિત પદાધિકારીઓ દોડ્યા

અમદાવાદ શહેરના વિશાલા સર્કલથી શાસ્ત્રી બ્રિજ તરફ મેટ્રો ડેપો નજીક આવેલા ઝૂંપડાઓમાં મંગળવારે બપોરે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને બપોરે 15:02 કલાકે અંગાર કોલ પ્રાપ્ત થયો હતો. આગ અંગેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને 15:04 કલાકે કોલમાં જવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી મિની-2 અને વોટર ટેન્ડર-2 સહિતના વાહનો તેમજ જમાલપુર ફાયર સ્ટેશનથી ગજરાજ-8 ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું હતું.
આ આગની ઘટનાને લઈને ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર તેમજ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મેયરે આગથી અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી રાહત અને બચાવ કામગીરીની વિગતો મેળવી સમગ્ર આ દરમિયાન ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મેદાનમાં કાર્યરત ટીમો દ્વારા આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા તથા કુલિંગની કામગીરી અસરકારક રીતે ચાલુ રાખવામાં આવી હતી.
આ ઘટનાસ્થળે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી CFOના 3 અધિકારીઓ, ડિવિઝન ફાયર ઓફિસરના 1 અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસરના 2 અધિકારીઓ તથા 1 સબ ઓફિસર હાજર રહી બચાવ અને અગ્નિશામક કામગીરીનું સંકલન કર્યું હતું.
ફાયર વિભાગની ટીમોએ આગ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગના ઝડપી પ્રતિસાદ અને સંકલિત કામગીરીના કારણે આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી અસરકારક રીતે હાથ ધરાઈ હતી.

