Ahmedabadમાં વરસાદ વચ્ચે અકસ્માત રોકવા હવે ટ્રાફિક માર્શલ આપશે માર્ગદર્શન, જોખમી સ્થળો-ડાયવર્ઝન પર રહેશે તૈનાત

વરસાદી મોસમ દરમિયાન શહેરમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને વાહન ચાલકોની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ચોમાસામાં રસ્તાઓ પર ચાલતી વિવિધ કામગીરી, અચાનક અપાતા ડાયવર્ઝન અને અકસ્માતની સંભાવના ધરાવતા જોખમી સ્થળોએ હવે ટ્રાફિક માર્શલ તહેનાત કરવામાં આવશે, જે વાહનચાલકોને સમયસર માર્ગદર્શન આપી અકસ્માતો અટકાવવામાં મદદરૂપ બનશે. જો કે, આ પ્રકારના દાવા કેટલા સાચા પડશે, તે તો સમય જ કહેશે.
પંચવટી અને પાંજરાપોળ ખાતેથી પ્રાયોગિક શરૂઆત
આ નવી ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા પંચવટી અને પાંજરાપોળ વિસ્તારોમાંથી શરૂઆત કરવામાં આવી છે. હાલમાં આ બંને વિસ્તારોમાં ચાલી રહેલી માર્ગ મરામતની કામગીરીના સ્થળોએ પ્રાયોગિક ધોરણે કુલ 4 ટ્રાફિક માર્શલ તહેનાત કરી દેવાયા છે. આ માર્શલ્સ માર્ગ પર આગળ ડાયવર્ઝન હોવાની માહિતી વાહનચાલકોને અગાઉથી જ આપી દેશે, જેથી પીક અવર્સ (ટ્રાફિકના સમયે) વાહનચાલકોને અચાનક મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળી શકે.
જોખમી સ્થળોને અપાશે પ્રાથમિકતા
AMC દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાત મુજબ ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં, માર્ગ પર મરામત અથવા અન્ય પ્રકારની કામગીરી ચાલી રહી હોય તથા વાહનચાલકો માટે જોખમ ઊભું થતું હોય તેવા સ્થળોને પ્રાથમિકતા આપવામાં આવશે.
નાગરિકોની સુરક્ષા અને અકસ્માતમાં ઘટાડો
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનો નથી, પરંતુ વરસાદી મોસમ દરમિયાન માર્ગ અકસ્માતોની સંભાવના નહિવત્ કરીને નાગરિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ચોમાસા દરમિયાન શહેરમાં અવિરત ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ વચ્ચે નાગરિકોની સુરક્ષાને સર્વોપરી રાખતો AMCનો આ નિર્ણય આગામી દિવસોમાં માર્ગ સલામતી માટે અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

