અમદાવાદ ફ્લાવર શૉમાં નકલી ટિકિટ વેચનાર શખ્સ ઝડપાયો, જાણો સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રીજી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે, જે 24મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારે શુક્રવારે 10મી જાન્યુઆરીના રોજ ફ્લાવર શૉની નકલી ટિકિટનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ આ મામલે પોલીસે શાહપુરથી આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
જાણો શું છે મામલો
રિવરફ્રન્ટમાં યોજાયેલા ફ્લાવર શોમાં અનેક લોકો પાસે નકલી ટિકિટો મળી આવી છે, જે પ્રિન્ટ કરેલી છે. 70 રૂપિયાના દરની 27 તેમજ 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે, જે અસલી ટિકિટ જેવી જ છે. આમ, ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી કુલ 52 નકલી ટિકિટ મળી આવી છે. આ મામલે પોલીસે શાહપુરથી આશિષ ભાવસાર નામના વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસની લાલ આંખ
શું છે ટિકિટ દર?
ફ્લાવર શૉની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉમાં 500 રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં અપાશે.

