VIDEO: વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતોની મહારેલી, અતિવષ્ટીના વળતરની માગ
અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા પંથકના ખેડૂતોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. પાવર ગ્રીડ અને જેટકો દ્વારા ઉભા કરાતા હેવી વીજપોલ અને લાઈનોનું યોગ્ય વળતર આપવા તેમજ તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ચૂકવવાની મુખ્ય માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વિરમગામ APMC માર્કેટયાર્ડથી તાલુકા સેવાસદન સુધી હાથમાં બેનરો અને પ્લે-કાર્ડ સાથે યોજાયેલી આ રેલીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે મોરબી જિલ્લામાં ઓછી જમીન હોવા છતાં વધુ વળતર આપવામાં આવે છે, જ્યારે અમદાવાદ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. અંતમાં, ખેડૂત અગ્રણીઓએ મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાય અને વળતરની કડક માંગ કરી હતી.

