VIDEO : ખેડૂતો મુદ્દે સરકારની કથિત દાદાગીરી સામે ઉગ્ર રોષ, 15 જૂને 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કરશે કૂચ
અમદાવાદમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોની પડતર સ્થિતિ અને સરકારની કથિત દાદાગીરી સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે 2014ની સરખામણીએ હાલ ઘઉં જેવા પાકના ભાવમાં ઘટાડો થયો છે અને પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતોના ઊભા પાકમાં જેસીબી ફેરવી વીજ પોલ ઊભા કરાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો આત્મવિલોપન જેવા પગલાં ભરવા મજબૂર બન્યા છે. લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે જન સુનાવણી વિના વીજ પોલ નાખી શકાય નહીં તેમ છતાં તંત્ર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, જેના વિરોધમાં આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી અને 15 જૂને એક હજાર 111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે. ખેડૂતોએ જમીન માપણી, દેવા માફી, એમએસપીનો ગેરંટી કાયદો, ખાતરના ભાવમાં ઘટાડો અને 8 કલાક સળંગ વીજળી જેવી વિવિધ માંગણીઓ સાથે સરકારને આરપારની લડાઈની ચેતવણી આપી છે.

