ડિમોલિશન મામલે સુરત મનપા સામે HCનો કડક વલણ

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સુરત મનપાની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. બેઘર થયેલા લોકોને પુનર્વસન અને EWS આવાસ ફાળવણીના મુદ્દે કોર્ટે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે, જો લોકોને EWS આવાસમાં જગ્યા આપવામાં આવે છે, તો તેનો ખર્ચ બેઘર થયેલા લોકો કેમ ભોગવે? લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે, તો તેમને વૈકલ્પિક ઘર આપવાની જવાબદારી તંત્રની છે.
હાઇકોર્ટે વધુમાં સવાલ કર્યો કે ગેરકાયદે ડિમોલિશન માટે જવાબદાર અધિકારીઓ પાસેથી જ ખર્ચ કેમ વસૂલવામાં ન આવે? કોઈ અધિકારીએ કરેલા મિસએડવેન્ચરનો ખર્ચ રાજ્ય સરકાર શા માટે ભોગવે? કોર્ટે સુરત મનપા દેશમાં સૌથી વધુ આર્થિક રીતે સક્ષમ મનપામાંની એક હોવાનું પણ નોંધ્યું હતું.
સિનિયર અધિકારીઓને મળતી કથિત સ્પેશિયલ ટ્રીટમેન્ટ અંગે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા. રાજ્ય સરકારની કમિટી તપાસ કરી રહી હોય ત્યાં સુધી જવાબદાર સિનિયર અધિકારી યથાવત્ રહી શકે નહીં તેમ કોર્ટે જણાવ્યું હતું. મનપાનું ડિમોલિશન પ્રાથમિક દૃષ્ટિએ પૂર્વઆયોજિત હોવાનું પણ હાઇકોર્ટે નોંધ્યું હતું.

