ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ, સપ્ટેમ્બરની શરૂઆતમાં મહત્વપૂર્ણ બેઠકો યોજાશે

ગુજરાત ભાજપમાં આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બનવા જઈ રહી છે. આગામી અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીના બે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસે આવવાના છે. ગુજરાતના નવા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લેશે.
મળતી માહિતી મુજબ, તરુણ ચૂગ 2 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેમના પ્રવાસ દરમિયાન ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકોમાં એક પરિચય બેઠક યોજાશે, જ્યારે બીજી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવા તેમજ તેમના જન્મદિવસ નિમિત્તે આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અંગે યોજાશે.
આ બેઠકોમાં ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આગામી કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સતીશ પુનિયા 30 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ શહેરમાં યોજાનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાજસ્થાની સમાજના અંદાજે એક હજારથી વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સપ્ટેમ્બર અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં યોજાનારા આ પ્રવાસોને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

