Ahmedabad પ્લેન ક્રેશના 60 પીડિત પરિવારો બોઇંગને USની કોર્ટમાં ઢસડશે, પીડિત પરિવારે કહ્યું; ફ્લાઇટનો ડેટા આપો, અમે તપાસ કરાવીશું

અમદાવાદ પ્લને ક્રેશ દુર્ઘટનાની તપાસ સામે હવે પીડિત પરિવારોએ સવાલ ઉઠાવ્યો છે. પીડિત પરિવારોની માગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે. પીડિત પરિવારોએ કેસ લડવા માટે જે અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યા છે તે ગંભીર ઇજા અને અકુદરતી મૃત્યુના કેસ લડવામાં નિષ્ણાત છે અને ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે કેસ લડી ચૂક્યા છે. જેમાં ફોર્ડ અને વોક્સવેગન કંપની વિરૂદ્ધના કેસો પણ સામેલ છે.
પ્લેન ક્રેશમાં અમદાવાદના સોની પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ પરિવારના સભ્ય તૃપ્તિ સોનીએ જણાવ્યું કે પીડિત પરિવારોને પણ તપાસમાં સામેલ કરવા જોઇએ. પીડિત પરિવારોને દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય તેવો ડરતૃપ્તિ સોનીએ કહ્યું કે, અમે બધાએ ભેગા થઇને આ લૉ ફર્મ સાથે કામ કરવા માટે સાઇન અપ કર્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસમાં ઘણું અસ્ત વ્યસ્ત ચાલતું હોય તેમ લાગે છે. જે રિપોર્ટ રિલીઝ કર્યો છે એ જવાબ આપવાના બદલે પ્રશ્નો વધારે ઊભા કરે છે. ઉપરાંત એમણે સિલેક્ટિવ વસ્તુઓ રિલીઝ કરી છે. જેનાથી તપાસને અસર થવાની શક્યતા વધુ છે. તેમાં એર ઇન્ડિયા અને બોઇંગ કંપનીનો ઘણો મોટો આર્થિક રસ છે. અમને ડર છે કે વિમાન દુર્ઘટનાની તટસ્થ તપાસ નહીં થાય.
ફ્લાઇટનો ડેટા આપવાની માંગ કરતા તેમણે વધુમાં કહ્યું કે, મારી વ્યક્તિગત માંગ એ છે કે પીડિત પરિવારને પણ કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તપાસ માટે આપવો જોઇએ.જેથી અમે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરી શકીએ. કારણ કે રો ડેટાનું જે અર્થઘટન કરે છે તેમાં છેડછાડ થવાની શક્યતા રહેલી છે. જો સરકાર પારદર્શકતા જ રાખતી હોય તો તેને આ ડેટા આપવામાં વાંધો ન હોવો જોઇએ. પીડિત પરિવારો પણ આ તપાસનો ભાગ હોવા જોઇએ.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં પાયલટ્સ પર સવાલ ઉઠાવાયા હતા. થોડા દિવસો પહેલાં અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો હતો કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે. વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, 'તમે ફ્યૂઅલ સ્વિચને 'CUT OFF' પોઝિશનમાં કેમ કરી?' સવાલ પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયો. તે ગભરાઈ ગયો હતો, જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પછી, ઉડ્ડયન નિષ્ણાત સંજય લાઝરે તપાસ અહેવાલ લીક થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે- આશ્ચર્યજનક છે કે અમેરિકન મીડિયા પાસે ભારતીય સંસદ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય કરતાં વધુ માહિતી છે. આ અહેવાલ ભારતમાં સંપૂર્ણ પારદર્શિતા પર સવાલો ઊભા કરે છે. વડાપ્રધાને આ કેસની તપાસ હાઇકોર્ટના વર્તમાન ન્યાયાધીશ દ્વારા કરાવવી જોઈએ.
એર ઇન્ડિયાએ કહ્યું હતું ફ્યૂઅલ સ્વીચમાં કોઇ ખામી નથી. એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે તેનાં તમામ બોઇંગ-787 સિરીઝનાં વિમાનોના ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ (FCS)ના લોકિંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. તેના પાઇલટ્સને મોકલવામાં આવેલા સંદેશમાં એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યૂઅલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી.
વિમાન દુર્ઘટનાનાસ એક મહિના પછી પ્રારંભિક તપાસ દરમિયાન AAIBના રિપોર્ટમાં એન્જિન બંધ થવાથી અકસ્માત થયાનો રિપોર્ટ આવ્યો હતો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ 12 જુલાઈના રોજ 15 પાનાંનો રિપોર્ટ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિમાનનાં બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો.
ટેક-ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયાં હતા. આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું, "શું તમે એન્જિન બંધ કરી દીધું છે?" બીજાએ જવાબ આપ્યો, "ના."
અમેરિકન મીડિયા ન્યૂયોર્ક ટાઈમ્સે નિષ્ણાતોને ટાંકીને કહ્યું હતું કે રિપોર્ટમાં સામેલ તમામ મુદ્દાઓ વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી અને પાયલટની બેદરકારી તરફ ઈશારો કરે છે. ફ્યૂઅલ સ્વીચો કેવી રીતે બંધ થઇ તે જાણી નથી શકાયું. AAIB રિપોર્ટ અનુસાર, અકસ્માતગ્રસ્ત વિમાનના બંને એન્જિનની ફ્યુઅલ સ્વીચો બંધ હતી, ત્યારબાદ પાયલટ્સે તેમને ચાલુ કરી અને બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું, તેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું. જોકે, ફ્યુઅલ સ્વીચો કેવી રીતે બંધ થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી.
15 પાનાના રિપોર્ટ મુજબ ટેકઓફથી અકસ્માત સુધી આખી ફ્લાઇટ ફક્ત 30 સેકન્ડ ચાલી હતી. અત્યાર સુધીનાં અહેવાલમાં બોઇંગ 787-8 વિમાન અને GE GEnx-1B એન્જિન અંગે કોઈપણ ઓપરેટર માટે કોઈ ચેતવણી કે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી નથી. આ ઉપરાંત અહેવાલમાં હવામાન, બર્ડ હિટ અને તોડફોડ જેવા કોઈ કારણોનો ઉલ્લેખ નથી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા - ઇંધણ કટ-ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો.
ફ્યૂઅલ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું છે કે ટેકઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતો, જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે. બંને પાઇલટ મેડિકલી ફિટ હતા. તેમને કોઈ પ્રકારની કોઈ સમસ્યા નહોતી. પાઇલટ પાસે 8,200 કલાક અને કો-પાઇલટ પાસે 1,100 કલાકની ઉડાનનો અનુભવ હતો.
625 ફીટની ઊંચાઇએ છેલ્લું સિગ્નલ મળ્યું હતું. ફ્લાઇટ રડાર 24 મુજબ, વિમાનનું છેલ્લું સિગ્નલ 190 મીટર (625 ફીટ)ની ઊંચાઈ પર મળ્યું હતું. જે ઉડાન ભર્યા પછી તરત જ આવ્યું હતું. ભારતના સિવિલ એવિએશન રેગ્યુલેટર DGCA એ જણાવ્યું કે વિમાને 12 જૂનની બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કૉલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો હતો, પરંતુ એ પછી કોઈ જવાબ મળ્યો નહોતો.
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડ રૂપિયાના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આ ટ્રસ્ટનું નામ 'AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ' રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાયેલું છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેએ આ ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. આ ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, લાંબા સમય સુધી સહયોગ કરવામાં આવશે. આ સાથે, અકસ્માતમાં નુકસાન પામેલા બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલનું સમારકામ અને રિનોવેશન કરવામાં પણ મદદ કરશે.

