Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Eyewitness statement of Ahmedabad plane crash gives new twist

'છેલ્લા શ્વાસ સુધી પ્લેન બચાવતા રહ્યા પાયલટ સુમિત', અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીના નિવેદનથી નવો વળાંક

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
'છેલ્લા શ્વાસ સુધી પ્લેન બચાવતા રહ્યા પાયલટ સુમિત', અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીના નિવેદનથી નવો વળાંક
સોર્સ : gstv

એકાદ વર્ષ પહેલાં અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટના બાબતે બીજી એક રસપ્રદ માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલમાં એરક્રાફ્ટની ટેકનિકલ ખામી કે પાઇલટની ભૂલ અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. જો કે, હવે બીજો એક એવો અહેવાલ સામે આવ્યો છે જે આ દુર્ઘટનાની તપાસમાં મહત્ત્વનો સાબિત થઈ શકે એમ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મોર્ગ (શબઘર)માં પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના મૃતદેહને સૌથી પહેલા લેબ આસિસ્ટન્ટે જોયો હતો. આ પ્રત્યક્ષદર્શીની જુબાની કેપ્ટન સભરવાલની કર્તવ્યનિષ્ઠાની અજોડ કહાની બયાન કરે છે.

App Store

સિવિલના શબ ઘરમાં  લાશોના ઢગલા હતા 

અમદાવાદ સિવિલ હોસ્પિટલની પેથોલોજી લેબમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રોમિન વોહરાએ બ્રિટિશ ટેબ્લોઈડ ‘ડેઇલી મેઇલ’ની વાતચીતમાં શબ ઘરમાં જોયેલા દૃશ્યોનું વર્ણન કર્યું છે. આ અકસ્માતમાં તેમણે પોતાના કાકી યાસ્મીન (33 વર્ષ), ભાઈ પરવેઝ (જે લંડનમાં એમેઝોનમાં કામ કરતો હતો) અને પોતાની 3 વર્ષની ભત્રીજી ઝુવેરિયાને ગુમાવ્યા છે. તેઓ પરિવારની ઓળખ કરવા માટે જ્યારે શબ ઘરમાં ગયા હતા, ત્યારે ત્યાં લાશોના ઢગલા જોવા મળ્યા હતા.

ભયાનક દૃશ્યમાં જોવા મળી પાઇલટની વીરતાભરી ક્ષણો

રોમિનના જણાવ્યાનુસાર, આ શબ ઘરના એક ખૂણામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ના પાઇલટ-ઇન-કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ અલગ રખાયો હતો. કેપ્ટનના શરીરનો પાછળનો ભાગ બળી ગયો હતો, પરંતુ આગળનો ભાગ અકબંધ હતો. તેમનો મૃતદેહ ખુરશીમાં બેઠા હોય એવી સ્થિતિમાં હતો. તેમના સફેદ શર્ટ પરના 4 ગોલ્ડન પટ્ટા (જે તેમની સિનિયોરિટી દર્શાવે છે), કાળી ટાઈ, ટ્રાઉઝર અને શૂઝ બધું જ વ્યવસ્થિત હતું. આશ્ચર્યજનક બાબત એ હતી કે, મૃત્યુ બાદ પણ કેપ્ટન સભરવાલના બંને હાથ વિમાનના સ્ટીયરિંગ પર મજબૂત રીતે જડાયેલા હતા. અકસ્માતની ટક્કરથી સ્ટીયરિંગને નુકસાન થયું હતું અથવા બચાવકર્તાઓએ તેને કાપીને બહાર કાઢ્યું હતું. હોસ્પિટલના એક ડોક્ટરે પણ રોમિને કહેલી વાતને સમર્થન આપ્યું છે. ઉડ્ડયન નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્થિતિ સાબિત કરે છે કે કેપ્ટન સભરવાલ વિમાનને બચાવવા માટે છેલ્લી સેકન્ડ સુધી ઝઝૂમ્યા હતા. 

પાઇલટ સભરવાલ અને અન્ય પાઇલટની ભૂલની શંકા  

આ અકસ્માતના એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા બહાર પડાયેલા અહેવાલમાં જણાવાયું હતું કે ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિનોનો ફ્યુઅલ સપ્લાય માત્ર 1 સેકન્ડના અંતરે બંધ થઈ ગયો હતો. આ મુદ્દે તપાસકર્તાઓએ આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે આ પાઇલટની ભૂલ હોઈ શકે છે. આ દરમિયાન તપાસકર્તાઓએ કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષીય પિતા પુષ્કરાજ સભરવાલને ફોન કરીને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે સવાલો પૂછ્યા હતા. આ મુદ્દે તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં બેન્ચે તેમને સાંત્વના આપી હતી. 

પાઇલટ સભરવાલના પરિવારનો આક્રોશ

પાઇલય સભરવાલના પરિવાર તેમજ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) ના પ્રમુખ કેપ્ટન સીએસ રંધાવાએ આ પ્રારંભિક અહેવાલ સામે સખત વાંધો ઉઠાવી સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમનું કહેવું છે કે, પ્લેન ક્રેશની દુર્ઘટનાઓમાં પાઇલટ પોતાનો બચાવ કરવા જીવતો નથી, તેથી તેને બલિનો બકરો બનાવી દેવાય છે. 

હવે રોમિન વોહરા જેવા પ્રત્યક્ષદર્શીઓની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે કેપ્ટને વિમાનને શહેરમાં પડતું બચાવીને હાઈવે પર લેન્ડ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જો તેમને વધુ 10 સેકન્ડ મળી હોત તો કદાચ તેઓ સેંકડો જીવ બચાવી શક્યા હોત.

એકમાત્ર બચી ગયેલા મુસાફરની મનોવ્યથા

આ ભયાનક દુર્ઘટનામાં કુલ 241 લોકો (229 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ) ઉપરાંત જમીન પર 19 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલો ભયાનક અકસ્માત છતાં સીટ નંબર 11A પર બેઠેલા 40 વર્ષીય ઉદ્યોગપતિ વિશ્વાસ કુમાર રમેશ કોઈ ચમત્કારિક રીતે જીવતા બહાર આવ્યા હતા. ફ્યૂઝલેજ (વિમાનના મુખ્ય ભાગ) માં પડેલા એક બાકોરાથી તેઓ સમયસર બહાર નીકળી ગયા હતા. તેમને માત્ર નાની-મોટી ઈજા થઈ હતી.

જો કે, આજે એક વર્ષ બાદ પણ વિશ્વાસ કુમાર આ 'ચમત્કાર'ની કિંમત ચૂકવી રહ્યા છે. તેઓ ગંભીર પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD) થી પીડાઈ રહ્યા છે. આ અકસ્માતમાં તેમણે પોતાના મોટા ભાઈ અજય (45 વર્ષ) ને ગુમાવ્યા હતા. લેસ્ટર (બ્રિટન)માં પોતાના ઘરના એક રૂમમાં તેઓ એકલા બેસી રહે છે. તેઓ હજુ પણ એ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી કે 'બધા મરી ગયા, તો હું એકલો કેમ બચી ગયો?' 

એરલાઇન્સ અને વહીવટી તંત્રની લાપરવાઇ

અકસ્માત બાદ પીડિત પરિવારો સાથે એર ઇન્ડિયા અને સરકારી તંત્રનું વર્તન અત્યંત શરમજનક રહ્યું હોવાના આક્ષેપો થયા છે.

- નજીવું વળતર અને દબાણ: બ્રિટિશ વકીલોના જણાવ્યાનુસાર, એરલાઇન્સે ગરીબ ભારતીય પીડિતોને માત્ર £21,500 થી £23,000 (આશરે 22 થી 25 લાખ રૂપિયા) જેવી રકમ આપીને એવા કરાર પર હસ્તાક્ષર કરાવી લીધા છે કે તેઓ ભવિષ્યમાં બોઇંગ કે એરલાઇન્સ સામે કોઈ દાવો નહીં કરી શકે.

- અમાનવીય પ્રશ્નાવલી: બ્રિટિશ પરિવારોને એરલાઇન્સ દ્વારા એવા ફોર્મ મોકલાયા હતા, જેમાં ‘મૃતકની કિંમત’ને લગતો સવાલ કરતા પૂછાયું હતું કે, 'મૃતક તેના પરિવારને ક્રિસમસ કે જન્મદિવસ પર ભેટ આપતો હતો કે નહીં?'

સામાનની લૂંટફાટ: કાટમાળમાંથી મળેલી 23,000 વ્યક્તિગત વસ્તુઓને ઓનલાઈન પોર્ટલ પર મૂકાઈ હતી, પરંતુ તેમાં કોઈ પણ કિંમતી ઘડિયાળ કે દાગીના નહોતા, જેથી મૃતકોના પરિવારોને શંકા છે કે અકસ્માત બાદ મુસાફરોનો સામાન લૂંટી લેવાયો હતો.

સત્ય સામે આવશે એવી અનેકને આશા 

એર ઇન્ડિયાના અધિકારીઓ ઔપચારિક શોક વ્યક્ત કરીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે. પરંતુ આગામી મહિનામાં આવનારો અંતિમ તપાસ રિપોર્ટ આ અકસ્માતનું સાચું કારણ જાહેર કરશે. શું ખરેખર બોઇંગ 787 ડ્રીમલાઇનરની જૂની ઇલેક્ટ્રિકલ ખામી આ અકસ્માત માટે જવાબદાર હતી કે પછી તંત્ર ખામીઓ છુપાવવા એક શહીદ પાઇલટને દોષિત ઠેરવશે?