કાળા કોટની આડમાં જેલમાં એન્ટ્રી! સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં રહી ચૂક?
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાઓમાં આરોપી હરેશ મૂલચંદાણી નકલી વકીલ બની જેલમાં પ્રવેશ્યો હોવાનો આક્ષેપ સામે આવતા વકીલ આલમમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ક્રિશન અંબાવીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, હરેશ મૂલચંદાણીએ વકીલનો વેશ ધારણ કરીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં પ્રવેશ મેળવી એક આરોપી સાથે મુલાકાત કરી હતી. જો આ આક્ષેપ સાચો હોય તો જેલમાં પ્રવેશ માટેની ઓળખ ચકાસણી અને સુરક્ષા પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
એડવોકેટ ક્રિશન અંબાવીના જણાવ્યા મુજબ, જેલમાં વકીલ તરીકે મુલાકાત માટે સત્તાવાર અરજી, બાર કાઉન્સિલનું ઓળખપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત હોય છે. છતાં કોઈ વ્યક્તિ નકલી ઓળખ સાથે જેલમાં પ્રવેશ મેળવી શકે તે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે.
તેમણે આ મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને વિવિધ વકીલ મંડળોને પણ પત્ર લખી વકીલો માટે મજબૂત ઈ-વેરિફિકેશન સિસ્ટમ અમલમાં મૂકવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ નકલી વકીલ બની સંવેદનશીલ સ્થળે પ્રવેશ મેળવી ન શકે.
હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ દેસાઈ અને એડવોકેટ પ્રમોદ ગેહલોતે પણ ઘટનાને ગંભીર ગણાવી છે. તેમના મતે જેલમાં પ્રવેશ સમયે વકીલની ઓળખ, બાર કાઉન્સિલ નોંધણી અને સંબંધિત કેસની વિગતોની કડક ચકાસણી અનિવાર્ય બનાવવી જોઈએ.
હવે પોલીસ તપાસમાં હરેશ મૂલચંદાણીને જેલમાં પ્રવેશ કેવી રીતે મળ્યો, તેમાં કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી હતી કે નહીં અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મહત્વના મુદ્દા બન્યા છે. સમગ્ર ઘટનાએ સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થા અને ઓળખ ચકાસણીની પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. વકીલ આલમે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

