ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'

ખ્યાતિ હોસ્પિટલ કાંડની ઘટના હજુ શમી નથી એવામાં ફરી તેના જેવી જ એક ઘટનાએ ફરી અમદાવાદમાં સ્વરુપ લીધું છે. જેમાં મહેસાણાના એક વૃદ્ધને સારવાર અર્થે અમદાવાદની SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારના થોડા સમયમાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મહેસાણામાં વડનગરના એક 65 વર્ષીય વૃદ્ધના પગની આંગળી કાળી થઈ ગઈ હતી. જેથી તેમને અમદાવાદ શહેરની ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને દાખલ કરાવ્યા તમામ રિપોર્ટ કર્યા અને કહ્યું કે વડીલનું ઓપરેશન કરી તેમને એકદમ સાજા કરી દઈશું.
જેથી પરિવારે ઓપરેશન માટે પરવાનગી આપી. કાળી પડતી આંગળી માટે ઓપરેશન કર્યું હતુ કિન્તુ ઓપરેશન કર્યા બાદ આંગળી સાથે પગ પણ કાળો પડી ગયો. થોડા સમય બાદ વૃદ્ધનું મોત થતાં સમગ્ર પરિવાર શોકાતુર બન્યો હતો. 65 વર્ષીય વૃદ્ધનું મોત થતાં પરિવારે ડોક્ટરો પર આક્ષેપ લગાવ્યો હતો. મૃતક કિશોરગિરિ ગોસ્વામી નામના વૃદ્ધ વડનગર તાલુકામાં જાસ્કા ગામના મંદિરના પૂજારી હતા. જેમનું ગત 19 જાન્યુઆરી એ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાની ચીમકી? કહ્યું,'નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો'
હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ઓપરેશન કરાયું હતું. જેમાં આયુષ્યમાન કાર્ડમાંથી 10 લાખ ઉપરાંત પરિવાર પાસેથી બીજા 3 લાખ સેરવી લીધા હતા. આ સિવાય પગની આંગળીનું ઓપરેશન હતું તેમ છતાં પેટ ઉપર શંકાસ્પદ ઓપરેશન કર્યું હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે પરિવારે હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફને અનેક વાર રજુઆત કરી છતાં ત્યાં કોઈ તેમનું સાંભળતું નથી.
હોસ્પિટલના ડોક્ટરો ખુલ્લી ચીમકી આપી હતી કે તમારે જે કરવું હોય તે કરી લો. તેમજ હોસ્પિટલ તંત્ર એ દર્દીની ફાઈલ પણ પરિવારજનોને આપી નથી. મૃતક વડીલ સર્જરી કર્યા બાદ 3 માસ સુધી હેરાન થયા હતા. પરિવારે પૈસા ગુમાવ્યા, પિતાને પણ ગુમાવ્યા અને પરિવાર દેવાદાર બની ગયો. આખરે મૃતકના પરિવાર દ્વારા તપાસની માંગ સાથે પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ ડોકટરની બેદરકારી સહિતના આક્ષેપો કરતી અરજી કરી છે.

