કાર્યકર્તાઓને અયોગ્ય મેસેજ મામલે ભાજપનો એક્શન, મહામંત્રીનું રાજીનામું

અમદાવાદ શહેર ભાજપમાં આંતરિક શિસ્તને લઈને મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાણીપ વોર્ડના મહામંત્રી ઉમેદ ધાંધલનું રાજીનામું લેવામાં આવ્યું છે. પાર્ટી વિરુદ્ધ કામગીરી અને કાર્યકર્તાઓ સાથે અયોગ્ય વર્તન સંબંધિત આક્ષેપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદ ધાંધલ પર કેટલાક કાર્યકર્તાઓને અયોગ્ય સંદેશાઓ મોકલી પજવણી કરવાના આક્ષેપો થયા હતા. ઉપરાંત એક પૂર્વ કોર્પોરેટરના પરિજનને પણ મેસેજ કરવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. આ મામલો ધીમે ધીમે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સુધી પહોંચતા સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી.
ભાજપના સંગઠન દ્વારા મામલાની તપાસ અને ચર્ચા બાદ શિસ્ત જાળવવાના ભાગરૂપે ઉમેદ ધાંધલનું રાજીનામું લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
પાર્ટી તરફથી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ સંગઠનમાં શિસ્ત અને કાર્યકર્તાઓના સન્માનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે તેવો સંદેશ આ કાર્યવાહીથી આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

