અમદાવાદ જિલ્લા અદાલતમાં વકીલો અને જજ વચ્ચે મોટો વિવાદ, જજની ચેમ્બર બહાર વકીલોના ધરણાં
અમદાવાદ જિલ્લા અદાલતમાં આજે વકીલો અને એક ન્યાયાધીશ વચ્ચેનો વિવાદ ખુલ્લેઆમ સામે આવ્યો. રાજકોટ અને ગાંધીનગર બાદ હવે અમદાવાદમાં પણ જિલ્લા અદાલતના જજ એમ.કે. ઉપાધ્યાય સામે વકીલોએ વિરોધ નોંધાવ્યો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ 139થી વધુ વકીલોએ મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ કે.એમ. સોજીત્રાને પત્ર લખી જજના વર્તન અંગે ગંભીર રજૂઆતો કરી હતી. જોકે, યોગ્ય નિરાકરણ ન આવતા વકીલો જજ એમ.કે. ઉપાધ્યાયની ચેમ્બર બહાર ધરણા પર બેઠા હતા. વકીલોનો આક્ષેપ છે કે જજ વારંવાર વકીલો અને પક્ષકારો સાથે તોછડું વર્તન કરે છે, ઉલટ તપાસ સહિતની કોર્ટ પ્રક્રિયા દરમિયાન બિનજરૂરી હેરાનગતિ કરે છે અને ખુલ્લી કોર્ટ હોવા છતાં સાક્ષીની તપાસ સમયે કોર્ટના દરવાજા બંધ કરી દે છે. જજનો સ્વભાવ શંકાશીલ હોવાનું પણ વકીલોએ જણાવ્યું છે. સમગ્ર મામલે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ પંકજકુમાર રાઠોડે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.

