Ahmedabadમાં વરસાદી નુકસાન બાદ સરકારની મોટી જાહેરાત, વેપારીઓને મળશે સહાય

અમદાવાદ શહેર અને જિલ્લા વિસ્તારમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આર્થિક નુકસાન વેઠનારા નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારો માટે રાજ્ય સરકાર દ્વારા પુનઃવસન સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. અસરગ્રસ્તોનો ધંધા-રોજગાર પુનઃ પૂર્વવત થઈ શકે તે માટે સહાય અને લોન પર વ્યાજ સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે.
આ સહાય પેકેજ અંતર્ગત અલગ-અલગ કેટેગરી મુજબ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે, જેવી કે-
લારી/રેકડી ધારકો: રૂ. 7,500/- ની ઉચ્ચક રોકડ સહાય.
નાની સ્થાયી કેબિન (40 ચોરસ ફૂટ સુધી): રૂ. 25,000/- ની ઉચ્ચક રોકડ સહાય.
મોટી કેબિન (40 ચોરસ ફૂટથી વધુ): રૂ. 50,000/- ની ઉચ્ચક રોકડ સહાય.
પાકી દુકાન (પાકું બાંધકામ અને છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલું હોય): રૂ. 1,00,000/- ની ઉચ્ચક રોકડ સહાય.
બેંક લોન અને વ્યાજ સહાયની જોગવાઈઓ
છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરનારા પાકી દુકાન ધરાવતા વેપારીઓને બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ધંધો પુનઃ શરૂ કરવા લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં સરકારી ધોરણે વ્યાજ સહાય મળશે
માસિક ટર્નઓવર રૂ. 7.5 લાખ સુધી હોય: રૂ. 20 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય (વધુમાં વધુ રૂ. 5 લાખની મર્યાદામાં).
માસિક ટર્નઓવર રૂ. 7.5 લાખથી 15 લાખ સુધી હોય: રૂ. 25 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય (વધુમાં વધુ રૂ. 8 લાખની મર્યાદામાં).
માસિક ટર્નઓવર રૂ. 15 લાખથી વધુ હોય: રૂ. 30 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય (વધુમાં વધુ રૂ. 10 લાખની મર્યાદામાં).
મહત્વની શરતો અને અમલીકરણ
અસરગ્રસ્તોને ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી માત્ર કોઈ પણ એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
રોકડ સહાય માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરી, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી જેવા પુરાવા ધ્યાને લઈને સહાય ચૂકવાશે.
જે એકમોએ APMC સહાય યોજના હેઠળ લાભ મેળવ્યો હશે, તેમને આ પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે નહીં.

