અમદાવાદના આંગણે 9 માર્ચે ગુજરાત બાર કાઉન્સિલના કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

ગુજરાતમાં પ્રથમવાર એક મંચના નેજા હેઠળ આગામી દિવસોમાં મોટો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. નવમી માર્ચે અમદાવાદના આંગણે ગુજરાત બાર કાઉન્સિલનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 11 હજારથી વધુ વકીલોના પદવીદાન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રા સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે.
અમદાવાદમાં યોજાનારા આ વકીલોના પદવીદાન સમારોહની સમગ્ર દેશમાં નોંધ લેવાશે. આ ઉપરાંત આ સમારોહમાં વિવિધ જિલ્લા બાર એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહેવાના છે. વળી સોલિસિટર જનરલ ઑફ ઈન્ડિયા તુષાર મહેતા અને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી બાર કાઉન્સિલના પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાના છે. જેથી આ કાર્યક્રમ વધુ નોંધ લેવા જેવો થવાનો છે.

