અમદાવાદ ભાજપમાં મહિલા કાર્યકર્તાની હેરાનગતિના આક્ષેપ, હોદ્દેદાર વિરુદ્ધ પત્ર લખી ન્યાયની માંગ

અમદાવાદ શહેર ભાજપમાં એક મહિલા કાર્યકર્તાએ ગંભીર આક્ષેપો સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પત્ર લખતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. મળતી માહિતી મુજબ રખિયાલ વિસ્તારની ભાજપ કાર્યકર્તા પન્ના ઝાએ સ્થાનિક હોદ્દેદાર જયેશ બારોટ વિરુદ્ધ હેરાનગતિના આક્ષેપો કર્યા છે.
પન્ના ઝા દ્વારા લખાયેલા પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જયેશ બારોટ દ્વારા સતત માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી. ઉપરાંત, સંગઠનની કામગીરી અને રાજકીય પ્રવૃત્તિઓના બહાને શારીરિક શોષણ માટે પણ માંગણી કરવામાં આવતી હોવાનો ગંભીર ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મહિલા કાર્યકર્તાએ આ સમગ્ર મામલે બાપુનગરના ધારાસભ્ય તેમજ ભાજપ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આક્ષેપો સામે સંબંધિત હોદ્દેદાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. બીજી તરફ, પત્ર બહાર આવતા પાર્ટી સંગઠનમાં પણ ચર્ચાઓ તેજ બની છે.
હાલ આ મામલે ભાજપના સ્થાનિક કે પ્રદેશ સ્તરના નેતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જો કે, મહિલા કાર્યકર્તાએ ન્યાયની માંગ સાથે ઉચ્ચ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરતાં મામલો વધુ ગંભીર બન્યો છે.

