Ahmedabad: રિક્ષા ચાલકોની હડતાલ, સવારે અસર નહીવત, બપોરથી એસોસિએશનો જોડાશે
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળનું એલાન થયું હોવા છતાં, સવારના સમયે તેની નોંધપાત્ર અસર જોવા મળી નથી. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલનના કન્વીનર વિજય મકવાણાના નેતૃત્વ હેઠળ રાત્રે 12 વાગ્યાથી શરૂ થયેલી આ હડતાળમાં બપોરે 12 વાગ્યાથી શહેરની વિવિધ રિક્ષા એસોસિએશનો જોડાવાની શક્યતા છે. આ હડતાળનો મુખ્ય હેતુ અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા હેઠળ રિક્ષા ચાલકો સામે થઈ રહેલી દંડની કાર્યવાહી અને રિક્ષાઓની જપ્તી સામે વિરોધ નોંધાવવાનો છે.
ટ્રાફિક નિયમોના નામે ખોટી રીતે હેરાનગતિ
રિક્ષા ચાલકોની માંગણી છે કે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના નામે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. ખાસ કરીને, રિક્ષાઓને મેમો આપવાને બદલે સીધી જપ્ત કરવામાં આવે છે અને ભારે દંડ ફટકારવામાં આવે છે. આના વિરોધમાં નવ રિક્ષા યુનિયનોએ એક દિવસીય હડતાળનું એલાન કર્યું છે.
હડતાળની જાહેરાત હોવા છતાં, સવારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રિક્ષાઓ રોડ પર જોવા મળી હતી. જેના કારણે હડતાળની અસર નજીવી રહી. રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન સમિતિ દ્વારા સવારથી ચાલકોને હડતાળમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. વિજય મકવાણાએ જણાવ્યું કે, “અમે પોલીસની દાદાગીરી સામે લડી રહ્યા છીએ. બપોરે 12 વાગ્યાથી શહેરની અન્ય એસોસિએશનો પણ અમારી સાથે જોડાશે, જેનાથી હડતાળની અસર વધુ તીવ્ર બનશે."

