Ahmedabad news: નારોલમાં નજીવી બાબતમાં કાર ચાલકે કર્યું ફાયરિંગ, એક શખ્સ ઈજાગ્રસ્ત

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં લાંભા તળાવ પાસે ઓવરટેક જેવી નજીવી બાબતમાં દ્વિચક્રી વાહનચાલક પર સ્કોર્પિયો કાર ચાલકે ફાયરિંગ કર્યું હતું.
એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો
આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારા શખ્સો નશામાં હોવાનું અને ત્રણ મિત્રો દર્શનાર્થે મલાતજ જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા આ ગોળીબારના બનાવમાં સંડોવાયેલા આરોપી મિત્રને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ફાયરિંગ પાછળનું સાચું કારણ શું છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
નારોલ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિનું નિવેદન લેવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, જે બાદ જ આ ફાયરિંગ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપીને પકડીને સમગ્ર મામલાનો ખુલાસો કરશે તેવી આશા છે.

