અમદાવાદમાં પેલેડિયમ મોલ પાસે ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર 5 શખ્સો ઝડપાયા

અમદાવાદના પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ થોડાક દિવસો પહેલા આતંક મચાવ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે મોટી સફળતા મળી છે. ઝોન LCBએ 5 આરોપીઓને મહારાષ્ટ્રમાંથી દબોચી લીધા છે.
અંગત અદાવતમાં તલવારો વડે હુમલો કર્યો હતો
આરોપીઓ મહારાષ્ટ્રમાં છુપાયા હતા. અંગત અદાવતમાં તલવારો વડે હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હુમલાખોરોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
પોલીસ ફરિયાદ મુજબ, તલવાર વડે હુલમો કરનારા શખસો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની રેસમાં 5 નામ સૌથી વધુ ચર્ચામાં, ઉતરાયણ પછી થઈ શકે છે જાહેરાત
અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી
સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો હતો કે, બંને જૂથો વચ્ચે અગાઉના ઝઘડાને લઈને આરોપીએ હુમલો કર્યો હતો. લગભગ બે અઠવાડિયા પહેલા આરોપી પ્રિન્સે બાંધકામ સામગ્રીના વ્યવસાયના મતભેદના કારણે વિજય ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિજયને જામીન મળ્યા પછી પ્રિન્સ અને તેના મિત્રોએ બદલો લેવાની ધમકી આપી હોવાના અહેવાલ છે.

