Ahmedabad news: જમાલપુરમાં જમણવાર બાદ 30 લોકોને ફૂડ પોઇઝનિંગ, તમામ સારવાર હેઠળ

અમદાવાદના કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સામાજિક પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા અંદાજે 30થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જમણવાર પત્યા બાદ મહેમાનોની તબિયત લથડી
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરના પ્રસંગે લઇને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભોજન સમારંભમાં અન્ય વાનગીઓની સાથે 'ગાજરનો હલવો' પણ પીરસવામાં આવ્યો હતો. જમણવાર પત્યા બાદ મોડી રાત્રે અચાનક મહેમાનોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદો શરૂ થઈ હતી.
30થી વધુ લોકોની તબિયત લથડી
ગાજરનો હલવો ખાધા બાદ એક પછી એક એમ કુલ 30થી વધુ લોકોની તબિયત લથડી હતી. સ્થિતિ વણસતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે પ્રસંગની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.

