ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ આખરે મુક્ત થયા, માદરે વતન આવવા રવાના

ગેરકાયદે વિદેશ જવાના ચક્કરમાં ઘણાં ગુજરાતીઓને બંધક બનાવાયા હોય તેવા કિસ્સા બની ચૂક્યા છે. ગાંધીનગર નજીક આવેલાં બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં ત્યારે તેમને બેંગકોક, વાયા દુબઈ થઈ તહેરાન લઈ જવાયા હતાં. જ્યાં બંધક બનાવી ચારેય ગુજરાતીઓને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને તેનો વીડિયો પરિવારજનોને મોકલી 2 કરોડની માગ કરવામાં આવી હતી.
થાઇલેન્ડ થઈને વાયા દુબઈ ઈરાન લઈ જાવાયા
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના પ્રિયા ચૌહાણ, અજય ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેમને એમિરેટ્સ એરલાઇન્સ મારફતે દિલ્હીથી થાઇલેન્ડ લઇ જવાયા હતાં ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાનના પાટનગર તહેરાન લઈ જવાયા હતાં. તહેરાન શહેરના ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચારેય ગુજરાતીઓને ટેક્સીમાં બેસાડી અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
હાથ-પગ બાંધીને ઢોર માર મરાયો
અપહરણ કર્યા પછી ગુજરાતી યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વસ્ત્રો ઉતારીને હાથ પગ બાંધીને મોંઢામાં ડૂચો મારી શારીરિક ત્રાસ ગુજારાયો હતો. સાથે સાથે પૈસાની સતત માંગણી કરવામાં આવી હતી. શારીરિક ત્રાસ ગુજારી વોટ્સએપ દ્વારા વીડીયો પરિવારજનોને મોકલવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી યુવક હવે સહન થતું નથી તેવા શબ્દ સાથે કરગરી રહ્યો છે. આ દ્રશ્ય હૃદયને હચમચાવી દે તેમ છે. આ જોઈ પરિવારજનો, મિત્રો, સબંધીઓ ચિંતાતુર બન્યા હતાં. અપહરણકર્તાઓએ 2 કરોડ રૂપિયાની માંગ કરી હતી.
પરિવારે ચૂકવ્યા 50 લાખ
આ ઘટનાને પગલે પરિવારજનોએ અપહરણકર્તાઓને 50 લાખ ચૂકવ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે. સૂત્રોના મતે, આ કેસ ફેક ટ્રાવેલ એજન્સીની છેતરપિંડીનું પરિણામ પણ હોઈ શકે છે. જોકે, હાલ ભારતીય દૂતાવાસ ઈરાન સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. તહેરનામાં એરપોર્ટ પરથી જ ચારેય ગુજરાતીઓને હેલી નામની એક હોટેલમાં લઈ જવાયા હતા. જ્યાં બાબા નામના કોઈ વ્યક્તિએ અપહરણ કર્યું હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે.
ગૃહમંત્રીને મદદ માટે કરાઈ હતી અપીલ
આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી હતી. સૂત્રોના મતે, આ કિસ્સો ફેક ટ્રાવેલ એજન્સીની છેતરપિંડીનું પરિણામ પણ હોઈ શકે છે. વિદેશ મંત્રાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી હતી અને ભારતીય દૂતાવાસ સતત ઈરાન સરકારના સંપર્કમાં રહીને મુક્તિની કાર્યવાહી કરાવી હતી. જોકે, કયા એજન્ટે તેમને ઑસ્ટ્રેલિયા મોકલ્યા હતા અને ઈરાન સુધી પહોંચાડ્યા હતા, તે અંગેની વિગતો હજુ મળી નથી. પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે.

