VIDEO: ANDARNI VAAT / ઉજ્જૈન મહાકાલ મંદિરમાં રખડતા શ્વાનનો આતંક, બાબાના દર્શન પહેલાં હોસ્પિટલ જવાનો વારો!
જો તમે પવિત્ર મહાકાલ નગરી ઉજ્જૈન જવાનું વિચારી રહ્યા હોવ, તો અત્યારે થોભી જવાની જરૂર છે, કારણ કે બાબા મહાકાલના દર્શન પહેલાં જ અહીં રખડતા શ્વાન આતંક મચાવી રહ્યા છે. ધાર્મિક નગરીમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને એક અત્યંત ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મહાકાલ મંદિર પરિસરમાં રખડતા શ્વાનોએ એક માસૂમ બાળકને દોડાવ્યો હતો. આ હુમલાની કોશિશથી ડરી ગયેલું બાળક ભયના માર્યા જોરજોરથી રડવા લાગ્યું હતું અને ગંભીર માનસિક આઘાતમાં સરી પડ્યું હતું. સદનસીબે શ્વાન બાળકને કરડી શક્યા ન હતા, પરંતુ આ ઘટનાએ દર્શનાર્થીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. જબલપુરથી આવેલા શ્રદ્ધાળુ જયા વિશ્વકર્માએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તંત્ર દ્વારા શ્વાનોને પકડીને પાંજરે પૂરવા જોઈએ જેથી નિર્દોષ બાળકો ભોગ ન બને. ઓડિશાથી આવેલા અન્ય યાત્રી મનીષ અગ્રવાલે પણ પોતાનો કડવો અનુભવ શેર કરતાં મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે.
છેલ્લા ઘણા સમયથી મહાકાલ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં હિંસક શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે શ્રદ્ધાળુઓને ભગવાનના દર્શન પહેલાં હોસ્પિટલ જવાનો વારો આવી શકે છે. ખાસ કરીને નાના બાળકો આ રખડતા શ્વાનોના નિશાના પર હોવાથી ભક્તો હવે પરિસરમાં ફરતા પણ ગભરાઈ રહ્યા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક પ્રશાસન પોતાની મસ્તીમાં મસ્ત થઈને આરામથી બેઠું હોય તેમ લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓ કદાચ વરિષ્ઠ સ્તરેથી કોઈ લેખિત આદેશ કે ઓર્ડર આવે તેની જ રાહ જોઈ રહ્યા છે, ભલે તેમની નજર સામે કોઈ મોટી દુર્ઘટના કેમ ન ઘટી જાય. લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર ધામમાં પ્રશાસનની આવી આળસ અને આંખ આડા કાન કરવાની નીતિ અત્યંત નિંદનીય છે. જો વહેલી તકે આ હિંસક શ્વાનો પર અંકુશ મેળવવામાં નહીં આવે, તો મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો આવી શકે છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

