VIDEO: ANDARNI VAAT / સુરેન્દ્રનગરમાં શિવભક્તિનો અનોખો મહીમા: શ્રાવણ માસમાં બન્યા લાખો પાર્થેશ્વર શિવલિંગ!
સુરેન્દ્રનગરના અલ્કાચ બાપુનગરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહિલાઓ દ્વારા ભક્તિ અને આસ્થાનું એક અનોખું અનુષ્ઠાન સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦માં સ્થાનિક મહિલા હેતલબા પરમારે પુત્રપ્રાપ્તિની મનોકામના સાથે માટીમાંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનો શુભારંભ કર્યો હતો. સમય જતાં આ નાનકડી શરૂઆત એક મોટા ધાર્મિક અનુષ્ઠાનમાં ફેરવાઈ ગઈ. આ વર્ષે પણ શ્રાવણ મહિના દરમિયાન સોસાયટીની ૩૦ થી ૩૫ જેટલી શ્રદ્ધાળુ મહિલાઓએ એકજૂથ થઈને પૂરા ભક્તિભાવ સાથે પાર્થેશ્વર પૂજા અને અનુષ્ઠાનની પરંપરા પૂર્ણ કરી છે. શ્રદ્ધાળુ નંદાબેન, પાર્થેશ્વર બનાવનાર હીનાબેન અને દિવ્યાબેન જણાવે છે કે આ અનુષ્ઠાન માટે તમામ મહિલાઓ દરરોજ વહેલી સવારે ૩ વાગ્યે ઊઠી જતી હતી. પરંપરા મુજબ મહિલાઓએ સાથે મળીને દરરોજ હજારોની સંખ્યામાં પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કર્યું હતું. આ રીતે માત્ર પાંચ જ દિવસના ગાળામાં કુલ એક લાખ પચીસ હજાર પાર્થેશ્વર બનાવવાનું કઠિન અને મહા-અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પાર્થિવ લિંગનું પૂજન-અર્ચન કર્યા બાદ, અંતિમ દિવસે તમામ એક લાખ પચીસ હજાર પાર્થેશ્વર શિવલિંગનું ભવ્ય અને ભાવુક માહોલમાં વિસર્જન પણ કરી દેવામાં આવ્યું છે..
છેલ્લા ત્રણ વર્ષથી સતત યોજાતા આ દિવ્ય મહાયજ્ઞમાં ૨૫ થી ૩૦ મહિલાઓએ મુખ્ય યોગદાન આપીને શિવભક્તિની અનોખી મિશાલ કાયમ કરી છે. આ કઠોર વ્રત અને પાર્થેશ્વર પૂજન વિધિ વિધિવત રીતે સંપન્ન થતાં તમામ ભક્તોએ ભારે ધન્યતા અને આત્મસંતોષ અનુભવ્યો છે. સુરેન્દ્રનગરની આ શિવભક્તિની પરંપરા આજે સમગ્ર વિસ્તારમાં આસ્થા અને નારી શક્તિનું સુંદર ઉદાહરણ બની ચૂકી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

