VIDEO: ANDARNI VAAT / અબુઝમાડના બોટેર ગામમાં રચાયો ઈતિહાસ: નક્સલ પ્રભાવિત ક્ષેત્રમાં પ્રથમવાર લહેરાયો તિરંગો!
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાંથી એક અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. માઓવાદી પ્રભાવિત અને અબુઝમાડના અતિ દુર્ગમ ક્ષેત્રમાં આવેલા બોટેર ગામમાં પ્રથમ વખત ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જે વિસ્તારમાં એક સમયે ભય, દહેશત અને નક્સલવાદીઓનો નકારાત્મક પ્રભાવ જોવા મળતો હતો, આજે ત્યાં શાંતિ, વિકાસ અને દેશપ્રેમની એક નવી પરોઢનો ઉદય થયો છે. તિરંગો લહેરાતાં જ આખા ગામમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ છવાઈ ગયો હતો. ઓરછાના થાણા ઈન્ચાર્જ રાજેશ કુમાર પાંડે અને સ્થાનિક સુરક્ષા દળોના અથાક પ્રયાસો તેમજ ગ્રામજનોના સાથ-સહકારથી આ અશક્ય લાગતી સિદ્ધિ શક્ય બની છે. બોટેર ગામની પ્રાથમિક શાળાના સહાયક શિક્ષક રવિકાંત જણાવે છે કે ગામમાં તિરંગો લહેરાવો એ માત્ર એક વિધિ નથી, પરંતુ શિક્ષણ અને સુરક્ષા તરફનું એક મોટું કદમ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા સ્થાનિક રહેવાસી કરૂ રામ મંડાવી અને રાજુ રામ મંડાવીના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે આ બદલાવથી ગામમાં હવે ભયનું વાતાવરણ દૂર થઈ રહ્યું છે અને વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે..
અબુઝમાડનો આ વિસ્તાર લાંબા સમયથી મુખ્યધારાથી કપાયેલો રહ્યો હતો, પરંતુ સુરક્ષા દળોની સતત હાજરી અને પ્રશાસનના સકારાત્મક અભિગમને કારણે હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ તિરંગાને સલામી આપીને એકતા અને સન્માનનો સંદેશ આપ્યો છે. બોટેર ગામમાં લહેરાયેલો આ તિરંગો સાબિત કરે છે કે બંધૂકની ગોળીઓ પર આશા અને વિશ્વાસની જીત થઈ છે અને અબુઝમાડ હવે દેશની મુખ્યધારા સાથે મજબૂતીથી જોડાઈ રહ્યું છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

