VIDEO: ANDARNI VAAT / ઓડિશાના જંગલોમાં ગજરાજનો પ્રભાવ: હાથીઓની સંખ્યા વધીને ૨,૧૦૩ એ પહોંચી!
ઓડિશાના મયૂરભંજ સ્થિત સિમિલિપાલ ટાઇગર રિઝર્વમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સંરક્ષણના સફળ પ્રયાસોને કારણે ઓડિશામાં હાથીઓની કુલ સંખ્યા વધીને ૨૧૦૩ સુધી પહોંચી ગઈ છે. જંગલ નિવસનતંત્રના મુખ્ય આધાર ગણાતા ગજરાજની સંખ્યામાં થઈ રહેલો આ વધારો પર્યાવરણીય સંતુલન માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. સિમિલિપાલ રિઝર્વના ડેપ્યુટી ડાયરેક્ટર સુમિત કુમાર કરના જણાવ્યા અનુસાર, અહીં મુખ્યત્વે બે પ્રકારના હાથીઓ જોવા મળે છે. એક જે સ્થાનિક હાથીઓ છે, જેઓ સ્વભાવે શાંત અને શરમાળ છે તથા સિમિલિપાલના સીમાડામાં જ રહે છે, જ્યારે બીજી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બાલેશ્વર તરફથી આવતી પ્રવાસી વસ્તી છે, જે પાકની મોસમ મુજબ અવરજવર કરે છે. હાથીઓ માટે યોગ્ય રહેઠાણ અને ખોરાકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગજરાજ માટે ઘાસચારાની અછત ન સર્જાય તે માટે ૫૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં સ્પેશિયલ ગ્રાસલેન્ડ એટલે ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે. વન વિભાગના આ સુધારાત્મક પગલાંના કારણે સિમિલિપાલ વિસ્તારમાં ૨૦૨૩ ની ગણતરી મુજબ ૧૦૩ હાથીઓ નોંધાયા હતા, જેમાં નાના બચ્ચાઓની સંખ્યામાં થયેલો વધારો વસ્તીના પુનરુત્થાનનો નિર્દેશ કરે છે..
આ ઉપરાંત, જબીલ ખાતે આવેલા નેટિવ કેમ્પમાં રાખવામાં આવેલા ૩ પાલતુ હાથીઓને વિશેષ તાલીમ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. હાથીઓની સારસંભાળ અને તેમના સંચાલનની ક્ષમતા સુધારવા માટે વન વિભાગ અને પશુચિકિત્સકોની ટીમો સતત કાર્યરત છે. સરકાર અને વન વિભાગના આ સઘન પ્રયાસોથી ઓડિશામાં હાથીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત બની રહ્યું છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

