VIDEO: ANDARNI VAAT / જાજપુરમાં પૂરનો તાંડવ: મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ગ્રાઉન્ડ ઝીરો પર, લીધી સ્થિતિની સમીક્ષા!
ઓડિશાના જાજપુર જિલ્લામાં સતત પડેલા મુસળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. પૂરથી પ્રભાવિત થયેલા હજારો ગ્રામજનોની સ્થિતિનો તાગ મેળવવા માટે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રૂબરૂ જાજપુર જિલ્લાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરીને સ્થિતિનો સમીક્ષા અહેવાલ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની હાલાકી અને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પણ યોજી હતી.મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને અસરગ્રસ્તો સુધી પીવાનું ચોખ્ખું પાણી, ભોજન, દવાઓ સહિતની તમામ જીવનજરૂરી સામગ્રી વિના વિલંબે પહોંચાડવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે પૂરગ્રસ્ત ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી અને આ આપત્તિની ઘડીમાં સરકાર તેમની સાથે મક્કમતાથી ઊભી છે તેવું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત, પૂરના કારણે થયેલા પાક નુકસાની અને મકાનોને થયેલી ક્ષતિનું ઝડપથી આંકલન કરીને વળતર ચૂકવવાની બાંયધરી પણ આપવામાં આવી છે.
જાજપુરમાં પૂરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NDRF અને ODRAF ની ટીમોને રાહત અને બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીની આ મુલાકાત બાદ સમગ્ર સરકારી તંત્ર વધુ હરકતમાં આવ્યું છે. મુખ્યમંત્રી માઝીના આદેશ બાદ તમામ વિભાગો એકજૂથ થઈને પરિસ્થિતિને થાળે પાડવા અને પૂરગ્રસ્તોને દરેક શક્ય મદદ પૂરી પાડવા માટે ચોવીસે કલાક કાર્યરત બન્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

