VIDEO: ANDARNI VAAT / ધાર ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, "મા સરસ્વતીના ધામને મળશે ન્યાય"!
મધ્ય પ્રદેશના ઐતિહાસિક શહેર ધાર સ્થિત સદીઓ જૂના ભોજશાળા સંકુલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા તાજેતરના આદેશ બાદ સમગ્ર ક્ષેત્રમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સ્થાનિક હિન્દુ સંગઠનો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને સળવળાટ જોવા મળી રહ્યો છે.. ભોજશાળા મુક્તિ યજ્ઞના સંયોજક ગોપાલ શર્માએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કોર્ટના આદેશને સત્ય અને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભોજશાળા એ સરસ્વતી માતાનું પવિત્ર ધામ છે અને તેની પ્રાચીન ઓળખ તથા ધાર્મિક પવિત્રતા પુનસ્થાપિત થવી જ જોઈએ. આ નિર્ણય બાદ ધાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. ભોજશાળા પરિસરમાં સુરક્ષા દળો દ્વારા સતત ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને પોતાની લાંબા સમયની આસ્થાની વિજય તરીકે જોઈ રહ્યા છે.
બીજી તરફ, ભોજશાળા દર્શનાર્થે આવતા સ્થાનિક શ્રદ્ધાળુઓએ પણ સુપ્રીમ કોર્ટના આદેશ આવકારતાં ખુશી વ્યક્ત કરી છે અને સંપૂર્ણ પરિસરને સનાતન આસ્થા મુજબ અધિકાર આપવાની માંગ દોહરાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની કામગીરી અને પરિસરમાં પૂજા-ઇબાદતની વર્તમાન વ્યવસ્થા અંગે પણ નવેસરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિસ્તારમાં સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવનારાઓ સામે સખત કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે કાનૂની પ્રક્રિયા દ્વારા આ સદીઓ જૂના વિવાદનો કાયમી અને ન્યાયિક ઉકેલ આવશે. વિવાદ ગરમાતાં જ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં પણ તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હાલમાં ધાર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

