VIDEO: ANDARNI VAAT / આસામમાં પૂરનો વિનાશક પ્રહાર, લખીમપુર અને ચિરાંગ જિલ્લાના અનેક ગામો જળમગ્ન!
આસામના લખીમપુર જિલ્લામાં આવેલા ઘુનાસુટી વિસ્તારમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે વધુ અતિ ગંભીર અને વિકટ બની રહી છે. પહેલા પાણીનું સ્તર નિયંત્રણમાં હતું, પરંતુ અચાનક નદીઓના જળસ્તરમાં મોટો ઉછાળો આવતાં અનેક ગામડાંઓ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. પૂરના પાણી ઘરો અને ખેતરોમાં ફરી વળતાં લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો માટે ખોરાક અને પીવાના શુદ્ધ પાણીનું મોટું સંકટ ઊભું થયું છે, કારણ કે ઘરમાં રહેલો ચોખા, દાળ અને બટાકા જેવા રાશનનો જથ્થો હવે ખાલી થઈ રહ્યો છે. ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જળબંબાકાર વચ્ચે અવરજવર કરવા માટે પૂરતી હોડીઓ પણ ઉપલબ્ધ નથી, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિકટ પરિસ્થિતિમાંથી રાહત મેળવવામાં હજુ એકાદ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે..
બીજી તરફ, આસામના ચિરાંગ જિલ્લામાં પણ બુરીસુતા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં વિજયપુર ગામ પૂરના પાણીથી ઘેરાઈ ગયું છે.. નદીના ધસમસતા પ્રવાહે ગામના નીચાણવાળા વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે, જેનાથી ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને ફફડાટનો માહોલ છે. રસ્તાઓ અને સંપર્ક માર્ગો ધોવાઈ જતાં વિજયપુર ગામનો બાહ્ય વિસ્તાર સાથેનો સંપર્ક સાવ કપાઈ ગયો છે. આસામના લખીમપુરથી લઈને ચિરાંગ સુધી ચારેય તરફ કુદરતી આફતે વિષમ પરિસ્થિતિ સર્જી દીધી છે. દૂષિત પાણી અને ખોરાકની અછત વચ્ચે લોકો વહીવટી તંત્ર તરફથી તાત્કાલિક મદદની રાહ જોઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બોટ દ્વારા રાશન અને તબીબી સહાય પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારાના અન્ય વિસ્તારોમાં પણ એલેર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

