VIDEO: ANDARNI VAAT / પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં ભયજનક વધારો: ત્રિવેણી સંગમ પર સ્નાન બન્યું જોખમી!
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થધામ પ્રયાગરાજમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ગંગા અને યમુના બંને પવિત્ર નદીઓની જળસપાટીમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. બંને નદીઓના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને પગલે ત્રિવેણી સંગમ ખાતે ભક્તજનો અને પ્રવાસીઓ માટે સ્નાન કરવું જોખમી બન્યું છે. નદીઓના પાણી ઘાટ સુધી પહોંચી જતાં સંગમ તટના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, જેને કારણે ધાર્મિકવિધિ અને સ્નાન માટે આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક પ્રશાસન અને જળ પોલીસ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સંગમ ઘાટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઊંડા પાણીમાં ન જાય તે માટે ઘાટ કિનારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને લાઉડસ્પીકર દ્વારા સતત સાવચેત રહેવાની એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. સંગમ ખાતે કાર્યરત નાવિકોના જણાવ્યા મુજબ, જળસપાટી વધવાને કારણે બોટિંગ સેવ-ઝોન સુધી જ મર્યાદિત કરી દેવાઈ છે. વહેણ ઝડપી હોવાથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત ઘાટ પર જ સ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે.
નદીઓના પાણી વધવાને કારણે ઘાટ પર બેસતા પંડા-પુરોહિતોને પણ પોતાના આસન અને સામાન પાછળ ખસેડવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે અને એનડીઆરએફ તથા જળ પોલીસની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જો ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવશે તો નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે કાંઠા વિસ્તારના રહીશોને પણ સાવચેત કરવામાં આવ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

