VIDEO: ANDARNI VAAT / મણિપુરના નાગા વિસ્તારોમાં ૨૪ કલાકનું બંધ: વિલેજ ગાર્ડ્સની હત્યા બાદ UNC આક્રમક!
મણિપુરના સેનાપતિ જિલ્લા સહિત તમામ નાગા પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. યુનાઈટેડ નાગા કાઉન્સિલ દ્વારા ગ્રામીણ રક્ષકો એટલે કે વિલેજ ગાર્ડ્સની નિર્મમ હત્યાના વિરોધમાં ૨૪ કલાકના સંપૂર્ણ બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ બંધના કારણે નાગા વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, બજારો અને વેપારી મથકો સંપૂર્ણપણે બંધ રહ્યા છે, જ્યારે રસ્તાઓ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતાં વિજયચોક અને મુખ્ય માર્ગો પર સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. નાગા પીપલ્સ ઓર્ગેનાઈઝેશનના કાયદાકીય સચિવ અને પ્રવક્તા એનજી ચુનથને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે નિર્દોષ વિલેજ ગાર્ડ્સ પર કરવામાં આવેલો આ કાયરતાપૂર્ણ હુમલો સાંખી લેવામાં આવશે નહીં અને દોષિતો સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. યુએનસી અને અન્ય નાગા સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી અને સુરક્ષા દળો દ્વારા ગ્રામીણ વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનાવવામાં આવશે..
મણિપુરમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી જાતીય હિંસા અને અશાંતિ વચ્ચે આ નવી ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. મેઇતેઈ અને કુકી સમુદાય વચ્ચેના ઘર્ષણ બાદ હવે નાગા વિસ્તારોમાં વિલેજ ગાર્ડ્સની હત્યાથી સમગ્ર રાજ્યમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ ઘેરો બન્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ સતત વધતા આક્રોશને કારણે મણિપુરમાં સ્થિતિ અત્યંત નાજુક અને વિસ્ફોટક બનેલી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

