VIDEO: તમિલનાડુમાં તુથુકુડીમાં પ્રસ્તાવિત શિપબિલ્ડીંગનો વિરોધ સ્થાનિક લોકો દ્રારા પ્રસ્તાવિત શિપબિલ્ડીંગનો વિરોધ કરાયો
તમિલનાડુમાં તુથુકુડીમાં પ્રસ્તાવિત શિપબિલ્ડીંગનો વિરોધ
સ્થાનિક લોકો દ્રારા પ્રસ્તાવિત શિપબિલ્ડીંગનો વિરોધ કરાયો
માછીમારો અને મીઠાના અગરિયાની રોજગારી છિનવાઇ જવાનો ભય
તમિલનાડુના તુથુકુડીમાં પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ યાર્ડનો મીઠાના અગરીયા, મીઠા ઉત્પાદકો અને માછીમારો દ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તુથુકુડીના મુલ્લાકાડુ અને કોવલમ દરિયાકાંઠા વિસ્તારમાં સોમવારે સવારે મોટી સંખ્યામાં મીઠાના કામદારો અને સ્થાનિક લોકોએ હાથમાં કાળા ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પેઢીઓથી આ જગ્યાએ અમે મીઠાનું ઉત્પાદન કરતા આવ્યા છીએ. સરકાર અમારી પરંપરાગત જમીન પર શિપબિલ્ડિંગ પ્રોજેક્ટ માટે ફાળવવાની તૈયારી કરી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે જો સરકાર આ પ્રોજેકટ આગળ ધપાવશે તો હજારો લોકોની રોજીરોટી પર સીધી અસર પડશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાગીદારીમાં તમિલનાડુના તુથુકુડીમાં ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે VO Chidambaranar Port Authority અને શિપ કોર્ટ દ્રારા NSHIP-TN નામની ખાસ કંપનીની રચના કરવામાં આવી છે. સરકારે આ પ્રોજેક્ટને દરિયાઈ ઉદ્યોગ, રોજગારી અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો છે. સામે મુલ્લાકાડુ વિસ્તારના લોકોનું કહેવું છે કે વિકાસના નામે તેમની વર્ષો જૂની આજીવિકા નષ્ટ ન કરવાનો પ્લાન છે. વિરોધમાં સામેલ પાસુવન્થારાઈ સ્મોલ સ્કેલ સોલ્ટ પ્રોડ્યુસર્સ એસોસિએશનના સચિવ પી. શેખર કહે છે, “મીઠાના ખેતરો માટે વૈકલ્પિક જમીન આપવાની વાત વ્યવહારુ નથી. મીઠાના ઉત્પાદન માટે દરિયાકાંઠાની વિશિષ્ટ પરિસ્થિતિ જરૂરી હોય છે અને કામદારો તથા આખું માળખું એકાએક અન્ય સ્થળે ખસેડી શકાય તેમ નથી.”
જિલ્લા પ્રશાસને પ્રોજેક્ટથી અસરગ્રસ્ત મીઠા ઉત્પાદકો માટે વૈપ્પાર વિસ્તારમાં 600 એકર જમીન ફાળવવા તૈયાર છે. આ સાથે રાહત-પુનર્વસન પેકેજ આપવાની યોજના પણ જાહેર કરી છે, પરંતુ સ્થાનિક લોકો તેને સ્વીકારવા તૈયાર નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે વૈકલ્પિક સ્થળ લગભગ 30 કિલોમીટર દૂર છે. આ કારણે કામદારો, સાધનો અને અન્ય સંચાધનો ત્યાં ખસેડવો સરળ નથી.
મીઠાના અગરિયા સાથે શિપયાર્ડના વિરોધમાં માછીમારો પણ જોડાયા છે. માછીમારોનું કહેવું છે કે શિપબિલ્ડિંગ યાર્ડ શરૂ થયા બાદ દરિયામાં ઔદ્યોગિક પ્રદૂષણ વધવાની શક્યતા છે. આ કારણે માછલીઓ અને અન્ય દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર પડશે. સ્થાનિક લોકો કહે છે, “અમારો વિરોધ વિકાસ સામે નથી, પરંતુ અમારી જમીન, દરિયો અને રોજગાર બચાવવા માટે છે.” લોકોની માંગ છે કે સરકાર આ શિપબિલ્ડિંગ યાર્ડને મુલ્લાકાડુ-કોવલમમાં મીઠાના ખેતરોને બદલે વૈપ્પાર સહિત અન્ય યોગ્ય સ્થળે ખસેડે જેથી અગરિયા અને માછીમારોની રોજગારી જળવાઇ રહે અને શિપયાર્ડ પણ બની રહે.
------ બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

