શું 'રહેમાન ડકેત' ફરીથી જોવા મળશે 'Dhurandhar 2'માં? જાણો Akshaye Khannaની વાપસી અંગે શું છે મેકર્સનો પ્લાન

'ધુરંધર' ફિલ્મમાં રહેમાન ડકેત બનીને અક્ષય ખન્નાએ ઘણી ધૂમ મચાવી હતી. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના પહેલા ભાગમાં તેના પાત્રને મારી નાખવામાં આવ્યું હતું, જેનાથી ચાહકો નિરાશ થયા હતા. પરંતુ હવે તેમની વાપસીને લઈને મોટી અપડેટ સામે આવી છે.
2025ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'નો જાદુ 2026માં પણ અકબંધ છે. વિશ્વભરમાં લગભગ 1302 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકેલી આ ફિલ્મ 40 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર મક્કમ છે. પ્રેક્ષકો 'ધ રાજા સાબ' જેવી નવી ફિલ્મો છોડીને હજુ પણ 'ધુરંધર' જોવા સિનેમાઘરોમાં જઈ રહ્યા છે. ફિલ્મના ક્લાઈમેક્સ પછી ચાહકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નિર્દેશક આદિત્ય ધરે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 'ધુરંધર 2' આ વર્ષે 19 માર્ચના રોજ રિલીઝ થશે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું બીજા ભાગમાં 'રહેમાન ડકેત' જોવા મળશે?
શું અક્ષય ખન્ના 'ધુરંધર 2' નો ભાગ હશે?
'ધુરંધર' માં સંજય દત્ત, રણવીર સિંહ, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજો વચ્ચે જે પાત્રએ સૌથી વધુ લાઈમલાઈટ મેળવી હતી, તે હતું લિયારીનો ગેંગસ્ટર 'રહેમાન ડકેત', જે અક્ષય ખન્નાએ ભજવ્યું હતું. જોકે, ફિલ્મના અંતમાં અસલમ ચૌધરી અને હમઝાએ કાવતરું ઘડીને રહેમાન ડકેતની હત્યા કરી દીધી હતી.
એક રિપોર્ટ અનુસાર, અક્ષય ખન્ના 'ધુરંધર 2' માં પણ 'રહેમાન ડકેત' બનીને વાપસી કરશે. ફિલ્મની મુખ્ય વાર્તા રણવીર સિંહના પાત્ર જસકીરત સિંહ રંગી (અંડરકવર એજન્ટ 'હમઝા અલી મઝારી') પર કેન્દ્રિત હશે, પરંતુ વચ્ચે-વચ્ચે રહેમાન ડકેતની 'બેકસ્ટોરી' બતાવવામાં આવશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય ખન્ના સિક્વલ માટે એક અઠવાડિયું શૂટિંગ કરશે. મેકર્સનો ઉદ્દેશ્ય તેના પાત્રના ભૂતકાળને વિગતવાર બતાવવાનો છે.
ચાહકોમાં ખુશીનો માહોલ
સોશિયલ મીડિયા પર અક્ષય ખન્નાની વાપસીના સમાચાર વાયરલ થતા જ ચાહકોમાં આનંદ છવાઈ ગયો છે. એક યુઝરે લખ્યું, "બસ અક્ષય સરનો સ્ક્રીન ટાઈમ વધારી દો." બીજાએ લખ્યું, "અમે રહેમાન ડકેતની કસાઈ જેવી બેકસ્ટોરી જોવા માટે તૈયાર છીએ." અક્ષય ખન્ના સિવાય આર. માધવને પણ વચન આપ્યું છે કે તે 'ધુરંધર 2' માં ફૂલ-ફ્લેજ રોલમાં જોવા મળશે.

